Get The App

આગરામાં મૂર્તિ વિસર્જન દરમિયાન કરૂણાંતિકા, નદીમાં 14 લોકો ડૂબ્યા, ત્રણ મૃતદેહ મળ્યા, શોધખોળ ચાલુ

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
આગરામાં મૂર્તિ વિસર્જન દરમિયાન કરૂણાંતિકા, નદીમાં 14 લોકો ડૂબ્યા, ત્રણ મૃતદેહ મળ્યા, શોધખોળ ચાલુ 1 - image

Agra News: ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના ખેરાગઢમાં આવેલી ઉટંગન નદીમાં ગુરુવારે મા દુર્ગાની મૂર્તિ વિસર્જન કરવા આવેલા કુશિયાપુર ડૂગરવાલા ગામના 14 યુવકો ઊંડા પાણીમાં ડૂબી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ગ્રામજનોએ ભારે જહેમત બાદ એક યુવક વિષ્ણુને બચાવી લીધો હતો. આશરે દોઢ કલાક બાદ પોલીસની મદદથી ત્રણ યુવકો ઓમપાલ, મનોજ અને ગગનના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવા છતાં બાકીના 10 લોકોનો પત્તો લાગ્યો નહોતો, જેમાં 5 સગીરોનો સમાવેશ થાય છે.

સુરક્ષા વ્યવસ્થા પર ગ્રામજનોનો આક્રોશ

ઘટનાની જાણ થતાં જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ મલ્લપ્પા બંગારી અને ડીસીપી પશ્ચિમી ઝોન અતુલ શર્મા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે નદી પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી અને જો પોલીસ તૈનાત હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ સમયસર ન પહોંચતાં ગુસ્સે ભરાયેલા લોકોએ જામ લગાવી દીધો હતો. જોકે, પોલીસ અધિકારીઓએ સમજાવટ કરતાં 2 કલાક બાદ ગ્રામજનો શાંત પડ્યા હતા.
આગરામાં મૂર્તિ વિસર્જન દરમિયાન કરૂણાંતિકા, નદીમાં 14 લોકો ડૂબ્યા, ત્રણ મૃતદેહ મળ્યા, શોધખોળ ચાલુ 2 - image

આ દુર્ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ સર્જાઇ હતી. ખેરાગઢના કુસિયાપુર ગામમાં ચામડ માતાના મંદિર પાસે નવરાત્રીમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. દશેરાના દિવસે મૂર્તિ વિસર્જન માટે ગામના 40-50 જેટલા પુરુષો, મહિલાઓ અને બાળકો ઉટંગન નદી પાસે પહોંચ્યા હતા. વિષ્ણુ (20), ઓમપાલ (25), ગગન (24), હરેશ 20), અભિષેક (17), ભગવતી (22), ઓકે (16), સચિન પુત્ર રામવીર (26), સચિન પુત્ર ઊના (17), ગજેન્દ્ર (17) અને દીપક (15) સહિત 14 યુવકો ઊંડા પાણીમાં ગયા હતા.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર બચાવના કોઈ સાધનો ન હોવાથી શરૂઆતમાં ગ્રામજનો કંઈ કરી શક્યા નહોતા અને લોકો ડૂબવા લાગ્યા હતા. ત્યારબાદ  કેટલાક ગ્રામજનોએ હિંમત કરીને પાણીમાં કૂદીને વિષ્ણુને બહાર કાઢ્યો હતો. તેની ગંભીર હાલત જોતા તેને આગરાની એસએન મેડિકલ કોલેજની ઈમરજન્સીમાં રીફર કરવામાં આવ્યો છે.

મોડેથી પહોંચી SDRFની ટીમ

અન્ય યુવકો ડૂબી ગયા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. લગભગ દોઢ કલાક પછી ઓમપાલ અને ગગનને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નદીમાં ડૂબેલા અન્ય 10 યુવકોની શોધખોળ માટે 6 કલાક પછી SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પણ ગોતાખોરોની મદદથી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ રાત સુધી કોઈનો પત્તો લાગ્યો નહોતો. આ ઘટનાથી તમામ પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મધ્યપ્રદેશમાં મૂર્તિ વિસર્જન જતી વખતે ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી, 11ના મોત

મધ્યપ્રદેશમાં દશેરાના દિવસે ગંભીર દુર્ઘટના બની છે. અહીં ખંડલા જિલ્લામાં દુર્ગા પ્રતિમાનું વિસર્જન કરવા જઈ રહેલી ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી છે. ટ્રેક્ટર-ટ્રોલીમાં આશરે 20થી 25 લોકો સવાર હતા, જેઓ વિસર્જન કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે ટ્રેક્ટર-ટ્રોલીને એક નાની પુલિયા પર ઊભી રાખી હતી, જ્યાં તે અચાનક પલટી ખાઈને તળાવમાં ખાબકતાં 11 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના બાળકોનો સમાવેશ થાય છે.