સિયાચિનમાં ફરજ પર તહેનાત અગ્નિવીરનું મૃત્યુ, સૈન્ય પ્રમુખે આપી શ્રદ્ધાંજલિ, મોતનું કારણ હજુ અકબંધ
અગ્નિવીર ગવતે અક્ષય લક્ષ્મણ મહારાષ્ટ્રનો રહેવાસી હતો
Agniveer Gawate Akshay Laxman Dies In Siachen : કારાકોરમ પર્વતમાળામાં આશરે 20,000 ફૂટની ઉંચાઈ પર સ્થિત સિયાચિન ગ્લેશિયરને વિશ્વના સૌથી ઊંચા લશ્કરી ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં સૈનિકોને ભારે ઠંડી અને પવનનો સામનો કરવો પડે છે. આવા દુર્ગમ સ્થાને ફરજ પર તહેનાત એક અગ્નિવીર(Agniveer Gawate Akshay Laxman Dies In Siachen)નું મૃત્યુ થયું હતું. સેનાના લેહ સ્થિત 'ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે આ અંગે આજે માહિતી આપી છે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને ફોર્સના તમામ રેન્કના કર્મિઓએ મહારાષ્ટ્રના અગ્નિવીર ગવતે અક્ષય લક્ષ્મણના મૃત્યુ પર શોક વ્યક્ત કરીને તેને શ્રદ્ધાંજલિ આપી હતી.
સિયાચિનની ઉંચાઈઓ પર ડ્યુટી દરમિયાન થયું મૃત્યુ
ડ્યુટી દરમિયાન ગવતે અક્ષય લક્ષ્મણનું મૃત્યુ થયું હતું. જો કે હજુ આ અંગે કોઈ માહિતી મળી નથી કે તેના મૃત્યુ પાછળનું કારણ શું હતું. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ(ટ્વિટર0 પર ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે લખ્યું, 'ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના તમામ અધિકારીઓ સિયાચિનની દુર્ગમ ઊંચાઈઓ પર ડ્યુટી દરમિયાન અગ્નિવીર (ઓપરેટર) ગવતે અક્ષય લક્ષ્મણના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.