PM મોદીની મુલાકાત બાદ ઓડિસાના સીએમ નવીન પટનાયકે કહ્યું,ત્રીજા મોરચાની સંભાવનાઓ નથી
હું ઓડિસાની વિવિધ માંગો સંદર્ભે વડાપ્રધાનને મળ્યો હતોઃ નવિન પટનાયક
પટનાયકે કહ્યું કે તેમની પાર્ટી લોકસભામાં એકલા હાથે ચૂંટણી લડશે
pmo twitter |
નવી દિલ્હીઃ ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયક દિલ્હી પ્રવાસે છે. ત્યારે તેમણે દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મેં વડાપ્રધાન મોદી સાથે પુરીમાં એક ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત ઓડિશાની વિવિધ માંગ સંદર્ભે ચર્ચા કરી છે. ભુવનેશ્વરમાં હવે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે, જેથી અમે એક વિસ્તાર ઈચ્છીએ છીએ. વડાપ્રધાન મોદીએ શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે.
નવિન પટનાયક અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત
તેમણે લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ સાથે રહેવા અંગેની શક્યતાઓને નકારી દીધી છે. તેમણે એવી જાહેરાત કરી હતી કે, તેમની પાર્ટી એકલા હાથે જ ચૂંટણી લડશે. આ હંમેશા અમારી યોજના રહી છે. તેમણે કહ્યું હતું કે, દિલ્હીના પ્રવાસમાં કોઈ અન્ય પાર્ટીઓ સાથે તેમની કોઈ મુલાકાત કરવાની યોજના નથી. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક 4 દિવસના દિલ્હી પ્રવાસ પર છે. અગાઉ રાષ્ટ્રપતિ ચૂંટણીના એક મહિના પહેલા 30મી મે, 2022ના રોજ નવિન પટનાયક અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત થઈ હતી.
નીતિશકુમાર નવીન પટનાયકને મનાવી રહ્યાં છે
દિલ્હી રવાના થયાના એક દિવસ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને નવિન પટનાયક વચ્ચે મુલાકાત થઈ હતી. હકીકતમાં નીતિશકુમાર દેશમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાને મજબૂત કરવા મથી રહ્યાં છે. જેને લઈને નીતિશકુમાર નવિન પટનાયકને મળ્યા હતા.આ નેતાઓ વચ્ચે કંઈ બાબતને લઈને ચર્ચા થઈ, તેનો ખુલાસો તો કોઈએ નથી કર્યો .હકીકતમાં મુખ્યમંત્રી નીતિશકુમાર જ્યારે પશ્ચિમ બંગાળ ગયા હતા, ત્યારે મમતા બેનરજીએ તેમને પટનામાં વિપક્ષી એકતાને લઈને બેઠક કરવાનું આહવાન કર્યું હતુ.નીતિશકુમાર નવીન પટનાયકને પોતાની સાથે લાવવા મથી રહ્યાં છે.