India

પહલગામ હુમલા બાદ પાક. આતંકી સંગઠનો-હમાસ વચ્ચે અનેક બેઠકો

By GS TEAM
23 Apr 20262 mins read
પહલગામ હુમલા બાદ પાક. આતંકી સંગઠનો-હમાસ વચ્ચે અનેક બેઠકો

- 26 પર્યટકોનો ભોગ લેનાર પહલગામ હુમલાને એક વર્ષ

- પીઓકે, પાક.ના બે શહેરો અને બાંગ્લાદેશમાં પણ બેઠકો જૈશ અને તોયબાના ટોચના કમાન્ડરો હાજર રહ્યા હતા

- હમાસે જે સ્ટાઇલે ઇઝરાયેલ પર હુમલો કર્યો તે જ સ્ટાઇલે પાક. આતંકીઓએ પહલગામ હુમલાને અંજામ આપ્યો હતો

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં ૨૬ પર્યટકોનો ભોગ લેનારા આતંકી હુમલાને એક વર્ષ થઇ ગયું છે. ૨૨ એપ્રીલ ૨૦૨૫ના રોજ આતંકીઓએ પર્યટકોને તેમના ધર્મ પૂછી પૂછીને બેફામ રીતે માથામાં ગોળીઓ ધરબી દીધી હતી. આ દુ:ખદ ઘટનાને એક વર્ષ થયું છે ત્યારે પાકિસ્તાની આતંકી સંગઠનો અને ગાઝામાં સક્રિય હમાસ નામના આતંકી સંગઠન બન્ને વચ્ચે બેઠકોનું પ્રમાણ વધી ગયું છે અને સંબંધો મજબુત બનાવી રહ્યા છે.

એજન્સીઓને માહિતી મળી છે કે પહલગામ હુમલો હમાસ સ્ટાઇલમાં જ થયો હતો, પાકિસ્તાની આતંકીઓ હમાસ સ્ટાઇલ અપનાવીને હુમલા કરી રહ્યા હોવાના અન્ય પુરાવા પણ સામે આવી ચુક્યા છે. એપ્રીલ ૨૦૨૫ બાદ હમાસ અને પાકિસ્તાની આતંકી સંગઠનો વચ્ચે ચાર વખત બેઠક યોજાઇ ચુકી છે. આ બેઠકના પુરાવા પણ સામે આવી ચુક્યા છે. બેઠકો પીઓકે, પાકિસ્તાનના બે શહેરો, અને બાંગ્લાદેશમાં પણ બે સ્થળે યોજાઇ હતી. આ બેઠકમાં લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ બન્ને આતંકી સંગઠનોના ટોચના કમાન્ડર પણ સામેલ હતા. 

ગુપ્ત એજન્સીઓને એવી બાતમી મળી છે કે હમાસ અને પાક.ના આતંકી સંગઠનો વચ્ચેનો સંબંધ માત્ર હુમલા પુરતો જ સિમિત નથી રહ્યો પરંતુ તેનાથી આગળ વધી ગયો છે. હમાસ અને પાક.ના આતંકી સંગઠનો એકબીજાને હથિયારો પુરા પાડવાથી લઇને તમામ પ્રકારની મદદ કરવા સંમત થયા છે. આ બેઠકનો ઉદ્દેશ્ય આતંકી નેટવર્કનો વ્યાપ વધારવાનો હતો. હમાસના આતંકીઓ પીઓકેમાં યોજાયેલી એક રેલીમાં પણ જોવા મળ્યા હતા. આતંકીઓ એક સેકન્ડરી બેઝ તૈયાર કરવાનું વિચારી રહ્યા હોવાના અહેવાલો છે. રિપોર્ટ મુજબ હમાસ દ્વારા ઇઝરાયેલ પર ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો તે જ સ્ટાઇલમાં પહલગામમાં આતંકીઓ દ્વારા ગોળીબાર કરાયો હતો. તેથી હવે એજન્સીઓ પાકિસ્તાની આતંકી સંગઠનો સાથે હમાસની સાંઠગાંઠ એ દિશામાં પણ તપાસ કરી રહી હોવાના અહેવાલો છે.