અફઘાન હિંદુઓ અને શીખોને ભારતમાં આવવા માટે મદદ કરીશું: કેન્દ્ર સરકાર
Updated: Aug 16th, 2021
નવી દિલ્હી, 16 ઓગસ્ટ 2021 સોમવાર
અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને પરત લાવવા અંગે સરકારનું નિવેદન બહાર આવ્યું છે. વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું કે કાબુલથી કોમર્શિયલ વિમાન સેવા શરૂ થયા બાદ અફઘાનિસ્તાનના હિન્દુઓ અને શીખોને પ્રાધાન્ય આપવામાં આવશે. ભારતે કહ્યું કે તે તેના અફઘાન સાથીઓની સાથે ઉભું રહેશે અને તેના હિતો તેમજ તે દેશમાં ભારતીય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા તમામ પગલાં લેશે.
વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિનું ઉચ્ચ સ્તરે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને કાબુલ એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઇટ્સને સ્થગિત કરવાથી ભારત પરત ફરવાના પ્રયાસો અટકી ગયા છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ તાલિબાન લડવૈયાઓ રવિવારે કાબુલમાં પ્રવેશ્યા હતા. આ સાથે બે દાયકા સુંધી ચાલેલા લોહિયાળ સંઘર્ષનો આશ્ચર્યજનક અંત આવ્યો જેમાં અમેરિકા અને તેના સાથીઓએ દેશમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો હતો.
બાગચીએ કહ્યું કે અમે અફઘાન શીખ અને હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં છીએ. જેઓ અફઘાનિસ્તાન છોડવા માંગે છે તેમને ભારત પરત આવવા માટે સુવિધા પહોંચાડી છું. તેમણે કહ્યું કે ઘણા અફઘાન છે જેઓ પરસ્પર વિકાસ, શૈક્ષણિક અને લોકોથી લોકોના સંપર્કના પ્રયત્નોને પ્રોત્સાહન આપવા માટે ભારતના સાથી રહ્યા છે અને ભારત તેમની સાથે ઉભું રહેશે. બાગચીએ કહ્યું કે ભારત લોકોના પરત ફરવાની પ્રક્રિયા ફરી શરૂ થાય તે માટે ઉડાનોની રાહ જોઈ રહ્યું છે.
બાગચીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કાબુલમાં સુરક્ષાની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઇ છે. તેમાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે ... ભારત સરકાર અફઘાનિસ્તાનનાં તમામ ઘટનાક્રમો પર નજીકથી નજર રાખી રહી છે. બાગચી અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ દેશનો કબજો સંભાળ્યા બાદ પરિસ્થિતિ અંગે મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતા.