નાસિકમાં 'સૂફી બાબા' તરીકે પ્રખ્યાત અફઘાનિસ્તાની મુસ્લિમ ધર્મગુરૂની હત્યા
- સૂફી બાબાનો ડ્રાઈવર શંકાના ઘેરામાં, જમીન વિવાદ મામલે હત્યા થયાની આશંકા
મુંબઈ, તા. 06 જુલાઈ 2022, બુધવાર
મહારાષ્ટ્રના નાસિક ખાતે એક 35 વર્ષીય મુસ્લિમ ધર્મગુરૂની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મંગળવારે મુંબઈથી આશરે 200 કિમી દૂર આવેલા યેવલા ખાતે મૂળે અફઘાનિસ્તાનના ખ્વાજા સૈયદ ચિશ્તીની હત્યા કરવામાં આવી હતી. 'સૂફી બાબા' તરીકે પ્રખ્યાત આ મુસ્લિમ ધર્મગુરૂને માથાના ભાગે ગોળી મારવામાં આવી હતી અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
હત્યા બાદ આરોપીઓ એસયુવી કારમાં ફરાર થઈ ગયા હતા અને આ કેસમાં સૂફી બાબાનો ડ્રાઈવર શંકાના ઘેરામાં આવ્યો છે. પોલીસે હત્યા પાછળ કોઈ ધાર્મિક ઉદ્દેશ્ય હોવાનો ઈનકાર કર્યો હતો અને સૂફી બાબા છેલ્લા અનેક વર્ષોથી યેવલા ખાતે રહેતા હોવાની માહિતી આપી હતી.
પોલીસ અધિકારી સચિન પાટીલના કહેવા પ્રમાણે આ હત્યાને નજરે જોનારા સાક્ષીએ સૈયદ ચિશ્તીના ડ્રાઈવરનું નામ આપ્યું હતું અને હાલ શકમંદની પુછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે હજુ સુધી હત્યા પાછળનો કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય સામે નથી આવ્યો.
યેવલાના એમઆઈડીસી વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. પોલીસના કહેવા પ્રમાણે સૂફી બાબા અફઘાની નાગરિક હોવાના કારણે તેઓ ભારતમાં જમીન ન ખરીદી શકે પરંતુ તેમણે સ્થાનિકોની મદદથી જમીનનો પ્લોટ હસ્તગત કર્યો હતો. તે જમીન સાથે સંકળાયેલા કોઈ કારણસર હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે.