Get The App

'જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ...', TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું મોટું નિવેદન

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
'જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ...', TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું મોટું નિવેદન 1 - image

Abhishek Banerjee Demands Disqualification Of TMC MP : તૃણમૂલ કોંગ્રેસમાં ભંગાણ બાદ સાંસદ અભિષેક બેનર્જીએ અન્ય નેતાઓ સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી. બેનર્જીએ બળવાખોર સાંસદોની સદસ્યતા રદ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, આ 20 સાંસદોએ લોકો સાથે બેઈમાની કરી છે, અને બંધારણનું અપમાન કર્યું છે. બંગાળની જનતા તેમને ક્યારેય માફ નહીં કરે.

સ્પીકરને મળ્યા TMC સાંસદ

ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી, સૌગત રોય, કલ્યાણ બેનર્જી, ડેરેક ઓ બ્રાયન અને મહુઆ મોઇત્રા સહિત તૃણમૂલ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળવા દિલ્હી પહોંચ્યું હતું. આ નેતાઓએ સ્પીકર પાસે બળવાખોર સાંસદોની સદસ્યતા રદ કરવાની માંગ કરી હતી. સ્પીકર સાથેની મુલાકાત બાદ અભિષેક બેનર્જીએ કહ્યું કે, 'અમે 14 જૂને લોકસભા સ્પીકરને પત્ર લખ્યો હતો, જેના આધારે અમને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે EDની પૂછપરછ ચાલી રહી હતી. આજે સાંજે પાંચ વાગ્યાનો સમય હતો, અમે બધા સ્પીકરને મળ્યા. આ બેઠક પહેલા મહુઆ મોઇત્રાએ પાર્ટી તરફથી સ્પીકર સાથે મુલાકાત કરી હતી.'

'ઈમાનદારી હોય તો રાજીનામું આપી દે બળવાખોર સાંસદો'

અભિષેક બેનર્જીએ કહ્યું કે, 'TMCના 20 સાંસદોએ 3-4 દિવસ પહેલા સ્પીકર સાથે મુલાકાત કરી હતી, અને પોતાનું અલગ જૂથ બનાવવાનો દાવો કર્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, તેમણે એક અલગ જૂથ તરીકે માન્યતા મેળવવાનો દાવો કર્યો છે. ત્યારબાદ થોડા કલાકો પછી તેમાંથી 2-4 લોકોએ NCPIમાં વિલયનો દાવો કર્યો, જેના વિશે આપણામાંથી કોઈએ ક્યારેય સાંભળ્યું ન હતું. TMCના લોકસભા નેતા તરીકે મેં ગેરલાયકાતની 20 અલગ-અલગ અરજીઓ સોંપી છે. 10મી અનુસૂચિ (એન્ટી-ડિફેક્શન લો) તે લોકોની વિરુદ્ધ છે, જેઓ અલગ જૂથ બનાવવાનો દાવો કરે છે. જો તેમનામાં થોડી પણ ઈમાનદારી હોય, તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.'

'આ લોકોએ સન્માન અને ઈમાનદારી વેચી દીધી છે'

બળવાખોર સાંસદો પર નિશાન સાધતા અભિષેક બેનર્જીએ કહ્યું કે, 'સાંસદોએ લોકો સાથે દગો કર્યો છે, અને બંધારણનું અપમાન કર્યું છે. તેઓએ પોતાનો અંતરાત્મા, સન્માન અને ઈમાનદારી વેચી દીધી છે. બંગાળની જનતા તેમને ક્યારેય માફ નહીં કરે. આમાંથી બળવાખોર સાંસદોને કેન્દ્રીય સુરક્ષા આપવામાં આવી છે. તેમના મતવિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ તેમની સાથે ઊભું નથી. તેઓ ED અને CBIથી પોતાને બચાવવા માંગે છે. તેમનામાંથી કેટલાકને પૈસા મળી રહ્યા છે, અને કેટલાકને ધમકાવવામાં આવી રહ્યા છે, મારી પાસે તેના પાક્કા પુરાવા છે. જો કોઈ સાંસદને મારી વાત ખરાબ લાગતી હોય, તો તેઓ મારી સામે કેસ કરી શકે છે. મારી પાસે જે કંઈ પણ છે, તે હું કોર્ટમાં સાબિત કરી દઈશ.'