કોંગ્રેસને દિલ્હીમાં માત્ર એક સીટ આપીશું, જલ્દી જવાબ નહીં આપો તો ઉમેદવારોનું કરી દઈશું એલાન : AAP
- અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સીટની વહેંચણી પર રેડ લાઈન ખેંચી દીધી
Updated: Feb 13th, 2024
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2024, મંગળવાર
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિપક્ષી I.N.D.A. ગઠબંધનથી એક પછી એક રાજકીય પક્ષો દૂર થઈ રહ્યા છે. મમતા બેનર્જી, નીતીશ કુમાર અને જયંત ચૌધરીના ઝટકા બાદ હવે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ દિલ્હીમાં સીટની વહેંચણી પર રેડ લાઈન ખેંચી દીધી છે.
દિલ્હી અને પંજાબની સત્તારુઢ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને દિલ્હીમાં એક લોકસભા સીટ પર ચૂંટણી લડવાની ઓફર આપી છે. આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે કહ્યું કે, અમે કોંગ્રેસને દિલ્હીમાં એક સીટનો પ્રસ્તાવ આપીએ છીએ. આમ આદમી પાર્ટી 6 સીટો પર ચૂંટણી લડશે. સંદીપ પાઠક માત્ર 6 અને એક સીટના ફોર્મ્યુલા પર ન અટક્યા.
સંદીપ પાઠકે એમ પણ કહી દીધુ કે, કોંગ્રેસ દ્વારા આ પ્રસ્તાવ પર જલ્દી જવાબ ન મળ્યો તો આમ આદમી પાર્ટી તમામ છ બેઠકો પર ઉમેદવારોનું એલાન કરી દેશે. સંદીપ પાઠકનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દિલ્હી અને પંજાબમાં I.N.D.A. ગઠબંધનના ચિત્રને લઈને અનેક અટકળો ચાલી રહી છે.