Get The App

હું ક્યાંય ભાગ્યો નથી..' ધરપકડની લટકતી તલવાર વચ્ચે અમાનતુલ્લાહ ખાનનો કમિશનરને પત્ર

Updated: Feb 12th, 2025

GS TEAM


Google News
Google News
હું ક્યાંય ભાગ્યો નથી..' ધરપકડની લટકતી તલવાર વચ્ચે અમાનતુલ્લાહ ખાનનો કમિશનરને પત્ર 1 - image


Image Source: Twitter

Amanatullah Khan Wrote A Letter To Delhi Police Commissioner: ધરપકડની લટકતી તલવાર વચ્ચે ઓખલા ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને દિલ્હી પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો છે. આમ આદમી પાર્ટીએ આ દાવો કર્યો છે. આ પત્ર પ્રમાણે નવા ચૂંટાયેલા ધારાસભ્યએ દાવો કર્યો છે કે, હું ક્યાંય ભાગ્યો નથી પરંતુ મારા વિધાનસભા મતવિસ્તારમાં જ છું. દિલ્હી પોલીસના કેટલાક લોકો મને ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.

પોલીસ પોતાની ભૂલ છુપાવવા માટે મને ખોટા કેસમાં ફસાવી રહી 

આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે, અમાનતુલ્લાહ ખાને દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે, 'હું મારા મતવિસ્તારમાં જ છું, હું ક્યાંય ભાગ્યો નથી. દિલ્હી પોલીસના કેટલાક લોકો મને ખોટા કેસમાં ફસાવી રહ્યા છે. દિલ્હી પોલીસ જે આરોપીની ધરપકડ કરવા આવી હતી તે પહેલાથી જ જામીન પર છે. તેમણે પેપર બતાવ્યા તો હવે પોલીસ પોતાની ભૂલ છુપાવવા માટે મને ખોટા કેસમાં ફસાવી રહી છે.'

બીજી તરફ દિલ્હી પોલીસે અમાનતુલ્લાહ ખાનની તલાશ તેજ કરી દીધી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે મીઠાપુર વિસ્તારમાં અમાનતુલ્લાહનો મોબાઈલ ફોન બંધ થયો હતો. છેલ્લે લોકેશન મીઠાપુરનું મળ્યું હતું, મીઠાપુર દક્ષિણ પૂર્વ દિલ્હીમાં છે. દિલ્હી પોલીસની એક ટીમ અમાનતુલ્લાહ ખાનના ઘરે ગઈ હતી. દિલ્હી પોલીસે અમાનતુલ્લાહ ખાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમની સાથે કોઈ સંપર્ક ન થઈ શક્યો.

આ પણ વાંચો: દિલ્હીમાં સરકાર બદલાતાં જ મોટી કાર્યવાહી, પરિવહન વિભાગના 6 અધિકારીઓની ધરપકડ, જાણો આરોપ

જાણો અમાનતુલ્લાહ ખાન પર શું છે આરોપ

દિલ્હી પોલીસના સૂત્રોનું કહેવું છે કે, આરોપી અમાનતુલ્લાહ ખાને પોલીસ સમક્ષ હાજર થઈ જવું જોઈએ. અમાનતુલ્લાહ પર પોલીસ સાથે ઝપાઝપી કરવાનો, તેમની સાથે ધક્કા-મુક્કી કરવાનો અને ધમકાવવાનો આરોપ છે. અમાનતુલ્લાહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. અમાનતુલ્લાહ જ્યાં પણ હોય તેણે પોલીસ સમક્ષ હાજર થઈ જવું જોઈએ.

બીજી તરફ આ મામલે દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને ગુનેગારને બચાવવાનો પ્રયાસ કેમ કર્યો? અમાનતુલ્લાહ ખાન ગુનાહિત સ્વભાવનો માણસ છે. પરંતુ આ વખતે તેને તે મોંઘુ પડશે.

અમાનતુલ્લાહ ખાને પોલીસને ધમકી આપી હતી

FIR પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચની ટીમ જામિયા વિસ્તારમાં વોન્ટેડ બદમાશ શાવેજને પકડવા ગઈ હતી. શાવેજને ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધો હતો. આ દરમિયાન અમાનતુલ્લાહ ખાન પોતાના 20-25 સમર્થકો સાથે આવ્યા અને ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને ધમકાવતા કહ્યું કે, 'તમારી અહીં આવવાની હિંમત કેવી રીતે થઈ. હું આવી પોલીસ અને કોર્ટમાં નથી માનતો.' આ દરમિયાન અમાનતુલ્લાહ ખાન અને તેમના સમર્થકોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. તેમની સાથે ઝપઝપી કરી હતી અને પોલીસના આઈ-કાર્ડ છીનવી લીધા હતા. આ સાથે જ AAP એમએલએ અમાનતુલ્લાહ ખાને પોલીસને ધમકી આપી હતી કે, 'આ વિસ્તાર અમારો છો, અહીંથી નીકળી જાઓ, નહીંતર જીવતા બહાર નીકળવું ભારે પડી જશે.'

Tags :