પંજાબમાં AAPને ઝટકો, CM ભગવંત માનના જિલ્લાના 8 કાઉન્સિલરનું રાજીનામું

Punjab AAP: આમ આદમી પાર્ટીને પંજાબમાં મોટો ઝટકો વાગ્યો છે. સંગરૂર નગર પાલિકાના આઠ પાર્ષદોએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. જેમાં નગર પાલિકાના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ અને વાઈસ પ્રેસિડન્ટ પણ સામેલ છે. તેમનું કહેવું છે કે, તેઓ નગરપાલિકાના અધ્યક્ષના કામકાજ અને ખોટા વલણથી સંતુષ્ટ નથી. જેથી પાર્ટી છોડી રહ્યા છીએ.
આ અંગે નગર પાલિકાના અધ્યક્ષ ભૂપિન્દર સિંહ નાહલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના સાત પાર્ષદનો સહકાર છે. અપક્ષમાંથી આવેલા પાંચ પાર્ષદોએ સાથ છોડ્યો છે, પરંતુ તેઓ પણ ફરી પાછા ઝડપથી પાર્ટીમાં સામેલ થશે.
અધ્યક્ષની કામગીરીથી અસંતુષ્ટ
આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પાંચ અપક્ષના પાર્ષદોએ પાર્ટીનો સાથ છોડ્યો છે. તેઓ નગરપાલિકાના અધ્યક્ષની કામગીરીથી અસંતુષ્ટ છે. જો તેઓ પાર્ટીમાં પરત ન ફર્યા અથવા નગર પાલિકામાં આપેલુ સમર્થન પાછું ખેંચી લીધુ તો અધ્યક્ષને પદ પરથી દૂર કરવા પડશે. આ વિવાદ વધ્યો છે, કારણકે મુખ્યમંત્રી ભગવંત માન પોતે આ જિલ્લાના છે. હરપાલ સિંહ ચીમા, બરિન્દર કુમાર ગોયલ અને અમન અરોડા પણ આ જિલ્લાના રહેવાસી છે. જો નગરપાલિકામાંથી ટેકો પાછો ખેંચવામાં આવે તો આમ આદમી પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે.
AAPને મળ્યું હતું સમર્થન
ગતવર્ષે નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 29 બેઠકમાંથી સાત બેઠક પર જીત મળી હતી. બાદમાં અપક્ષના પાંચ પાર્ષદનો ટેકો મળતાં તેણે 12 બેઠકનો બહુમત મેળવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય અમન અરોડા, નરિન્દર કૌર ભરાજના મત અને અન્ય બે અપક્ષના સમર્થનથી આમ આદમી પાર્ટીને અધ્યક્ષ બનાવવામાં મદદ મળી હતી. નગર પાલિકાના ચેરમેનની ચૂંટણીમાં સ્થાનિક ધારાસભ્ય પણ મત નાખવાનો અધિકાર ધરાવે છે. સંગરૂરમાં કોંગ્રેસના નવ પાર્ષદ છે. અને ભાજપ પાસે ત્રણ સભ્ય છે.