નવી દિલ્હી, તા. 09 ઓગસ્ટ 2022 મંગળવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 16 જુલાઈએ મફત 'રેવડી કલ્ચર' ને મુદ્દે નિવેદન આપતા તેને દેશ માટે ગંભીર ગણાવ્યુ હતુ. જે બાદથી વિપક્ષ આનો વિરોધ કરી રહ્યુ છે. ઉત્તર પ્રદેશના પીલીભીતથી BJPના જ સાંસદ વરૂણ ગાંધી પણ આ મુદ્દે ટીકા કરી ચૂક્યા છે. આજે આમ આદમી પાર્ટીએ મફત 'રેવડી કલ્ચર'ના સમર્થનમાં અરજી દાખલ કરી છે. જેમાં આમ આદમી પાર્ટીએ કહ્યુ કે લોકોને મફતમાં વિજળી, પાણી અને ફ્રી પરિવહન મફતની રેવડી નથી પરંતુ આ રાજ્યોની બંધારણીય જવાબદારી છે.
અગાઉ બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયે મફત રેવડી કલ્ચર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેમણે મફત ભેટની જાહેરાત કરનારી પાર્ટીઓની માન્યતા રદ કરવાની માગ કરી છે. આ અરજીનો વિરોધ કરતા આજે આમ આદમી પાર્ટીએ અરજી દાખલ કરી છે જેમાં અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાયને બીજેપીને ગણાવતા તેમની ઈચ્છા પર સવાલ કર્યા છે. સુપ્રીમ કોર્ટ આ કેસની 11 ઓગસ્ટે સુનાવણી કરશે.
PM એ 'દોસ્તવાદ' માટે દેશનો ખજાનો ખાલી કર્યો'મફત રેવડી' કલ્ચરના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ આમ આદમી પાર્ટીએ પોતાના વેરિફાઈડ ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. જેમાં તેમણે લખ્યુ છે કે વડાપ્રધાને 'દોસ્તવાદ' માટે દેશનો ખજાનો ખાલી કરી દીધો છે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ એક બાદ એક ટ્વીટ કરીને 'મફત રેવડી' કલ્ચરને લઈને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યુ છે. આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરતા વડાપ્રધાન મોદીના 'દોસ્તવાદ'ને દેશ માટે હાનિકારક ગણાવ્યુ છે.


