Updated: May 26th, 2023
નવી દિલ્હી, 25 મે,2023, ગુરુવાર
ભારતના સંસદ ભવનની થાંભલાઓવાળી ડિઝાઇન દેશની લોકશાહી વહિવટનું પ્રતિક સમાન બની ગઇ છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે લોકશાહીના મંદિર તરીકે જાણીતા સંસદ ભવનની ડિઝાઇન વિશ્વ પ્રસિધ્ધ ચોસઠ યોગિનીને મળતી આવે છે. આમ તો ભારતીય સંસદભવનની ડિઝાઇન આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત બ્રિટીશ આર્કિટેકટ સર એડવિન લૂટીયસે ૧૯૧૦માં તૈયાર કરી હતી. જયારે ચોસઠ યોગિની મંદિર સદીઓ પુરાણું છે. આથી જ તો સર એડવિને આ મંદિરથી પ્રેરાઇને સંસદની ડિઝાઇન તૈયાર કરી હોવાનું માનવામાં આવે છે.
ભારતની સંસદ જેવું લાગતુ આ અનોખું મંદિર મધ્યપ્રદેશના મોરેના પાસે મિતારોલી ગામમાં આવેલું છે. આ મંદિરને સદીઓ જુનું મંદિર તાંત્રિકોને ખૂબજ આકર્ષે છે. કથા વર્ણનોના આધારે આ મંદિરના પ્રાચિન ઇતિહાસ પર દ્વષ્ટીપાત કરીએ તો ચોસઠ યોગિની મંદિરને પહેલા તાંત્રિક વિશ્વ વિધાલય પણ ગણવામાં આવતું હતું.જો કે પહેલા અને આજે પણ અહી કોઇ પ્રોફેસર કે સ્ટુડન્ટ નથી. આ મંદિર તાંત્રિકોમાં પ્રિય હોવાથી કર્મકાંડ માટે અડધી રાત્રે આવવાનું પસંદ કરે છે. આ મંદિર ઇસ ૧૩૨૩માં અને વિક્રમ સંવત ૧૩૮૩માં મહારાજા દેવપાલાએ બંધાવ્યું હોવાનું માનવામાં આવે છે.
આ મંદિરમાં વિધાર્થીઓને જયોતિષ,ગણિત અને સોલાર ગણતરી શિખવવામાં આવતી હતી. પ્રતિહાર વંશના રાજાઓએ દ્વારા નિર્માણ કરવામાં આવેલા આ મંદિરને ૧૦૧ થાંભલાઓ અને ૬૪ ઓરડાઓ છે. આ દરેક ઓરડામાં એક એક શિવલિંગ છે. મંદિરના મુખ્ય પરિસરમાં પણ એક મોટું શિવલિંગ સ્થાપીત કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે દરેક ઓરડામાં શિવલિંગની સાથે દેવી યોગિનીદેવી મૂર્તિ પણ રાખવામાં આવતી હતી પરંતુ તે હવે દિલ્હીના એક મ્યુઝીયમમાં સાચવવામાં આવી છે. ચોસઠ યોગિનીની મૂર્તિઓના આધારે જ આ મંદિરનું નામ પડયું હોવું જોઇએ.