વિશાખાપટ્ટનમ ખાતે હિંદુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં ક્રેન પડતાં 10 લોકોના મોત
શિપયાર્ડના બીજા છેડેથી ઉતારેલો ક્રેન પડવાનો વીડિયો સામે આવ્યો
હૈદરાબાદ, તા. 1 ઓગષ્ટ 2020, શનિવાર
આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમના હિંદુસ્તાન શિપયાર્ડ ખાતે ખૂબ જ કરૂણ દુર્ઘટના બની છે. વિશાખાપટ્ટનમ ખાતે આવેલા હિંદુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં શનિવારે એક વજનદાર ક્રેન પડવાના કારણે 10 લોકો મૃત્યુ પામ્યા હતા.
જાણવા મળ્યા મુજબ આ દુર્ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ પણ પહોંચી છે. દુર્ધટના બાદ મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટર અને શહેરના પોલીસ અધિકારીને ક્રેન દુર્ઘટના મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.
શિપયાર્ડ ખાતે વજનદાર ક્રેન દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણે ચારે બાજુ અફડાતફડી મચી ગઈ હતી. બચાવ અને રાહત અભિયાન અંતર્ગત કાટમાળમાં ફસાયેલા કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં ક્રેન પડવાનો વીડિયો પણ સામે આવ્યો છે જેને શિપયાર્ડના બીજા છેડેથી બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ક્રેન પડ્યા બાદ ત્યાં દોડધામ મચી ગયેલી.
ડીસીપી સુરેશ બાબુએ આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, હિંદુસ્તાન શિપયાર્ડમાં ક્રેન પડ્યા બાદ ભારે મોટી દુર્ઘટના બની છે. તેમાં 10 લોકોના મોત થયા હતા અને ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.