Get The App

દિલ્હીની રાજનીતિમાં હડકંપ! AAPમાંથી રાજીનામું આપનારા 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા, MLA ઋતુરાજ ગુસ્સે થયા

Updated: Feb 1st, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની રાજનીતિમાં હડકંપ! AAPમાંથી રાજીનામું આપનારા 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા, MLA ઋતુરાજ ગુસ્સે થયા 1 - image

Delhi Assembly Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ની તારીખ નજીક આવતાં જ રાજકીય પક્ષોએ પોતાની રણનીતિઓ વધુ તેજ કરી દીધી છે. ચૂંટણી રણશિંગુ ફૂંકાવામાં હવે 2 દિવસ બાકી રહ્યાં છે અને તમામ મુખ્ય પાર્ટી ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતાનો પ્રચાર-પ્રસાર કરી રહી છે. આ પક્ષોના નેતા હવે તમામ શક્ય પ્રયાસો કરીને દિલ્હીની જનતાનું દિલ જીતવા માગે છે. આ વચ્ચે હવે દિલ્હીની રાજનીતિમાં મોટો હડકંપ મચ્યો છે. શુક્રવારે (31 જાન્યુઆરી, 2025) આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા આપના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. સાથે કેટલાક કોર્પોરેટર પણ ભાજપમાં સામેલ થયા છે.

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો

શુક્રવારે એક બાદ એક આઠ ધારાસભ્યોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. હવે આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડા અને દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાની હાજરીમાં ભાજપમાં જોડાયા. આ તમામ 8 ધારાસભ્યોએ ગઈકાલે(31 જાન્યુઆરી, 2025) આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને રાજીનામું આપી દીધું હતું. જે તમામ આજે(1 ફેબ્રુઆરી, 2025) ભાજપમાં જોડાયા છે. 


કયા કયા ધારાસભ્યોએ આપ્યું રાજીનામું?

રાજીનામું આપનારા આઠ ધારાસભ્યોમાં પાલમથી ભાવના ગૌડ, બિજવાસનથી બીએસ જૂન, આદર્શ નગરથી પવન શર્મા, કસ્તુરબા નગરથી મદનલાલ, જનકપુરીથી રાજેશ ઋષિ, ત્રિલોકપુરીથી રોહિત મહેરૌલિયા, મહેરૌલીથી નરેશ યાદવ અને માદીપુરથી ગિરિશ સોનીનો સમાવેશ થાય છે. આ તમામ 8 ધારાસભ્યોએ આજે ​​ભાજપનું સભ્યપદ લીધું. જણાવી દઈએ કે, આ તમામ એ ધારાસભ્યો છે, જેમને આ વખતે ટિકિટ નથી આપવામાં આવી. 

આપના ધારાસભ્ય ઋતુરાજે આને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું

પાર્ટીએ રાજીનામાં અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. કરાડીથી આપના ધારાસભ્ય ઋતુરાજે આને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું. ઋતુરાજ ઝાએ કહ્યું કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભાજપના લોકો સતત મારો સંપર્ક કરી રહ્યા હતા. તેઓ સતત અને લોભ આપી રહ્યા હતા. તમે અમારી પાર્ટીમાં આવી જાઓ, તમને આ... બનાવી દઈશું. મેં હાથ જોડીને એક જ વાત કહી કે, દરેક વ્યક્તિ પક્ષપલટું નથી હોતા. દરેક વ્યક્તિ લાલચૂ પણ નથી હોતા. દરેક વ્યક્તિ વેચાતા નથી. અમારા નેતા અરવિંદ કેજરીવાલજીએ અમને શું નથી આપ્યું. મારા જેવા સામાન્ય પરિવારથી આવતા વ્યક્તિને માસ્ટરના દીકરાને બે-બે વખત ધારાસભ્યની ટિકિટ આપી. 10 વર્ષથી હું કરાડીથી ધારાસભ્ય છું.

તેમણે કહ્યું કે, આવનારા સમયમાં વધુ જવાબદારીઓ આપશે. પાર્ટી માટે કામ કરીશું. અમારા કેટલાક સાથી ભાજપના ઈશારા પર જે હરકતો કરી રહ્યા છે, તમને ઈતિહાસ ક્યારે માફ નહીં કરે. તમને તો કેજરીવાલજીએ ધારાસભ્ય બનાવ્યા હતા. તમારે આવું ન કરવું જોઈએ, કારણ કે દેશ-દુનિયા આમ આદમી પાર્ટી તરફ એક આથાથી જોવે છે.