Get The App

દેશભરમાં 77માં સ્વતંત્ર દિવસની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી, વિવિધ રાજ્યોના CMએ પાઠવી શુભકામના

સ્વાતંત્ર્ય વીરોને આજના અવસરે કૃતજ્ઞતાસહ વંદન પાઠવું છું : ભુપેન્દ્ર પટેલ

આપણે સાથે મળીને દેશના દરેક બાળક માટે શ્રેષ્ઠ શિક્ષણની વ્યવસ્થા કરીશું : અરવિંદ કેજરીવાલ

Updated: Aug 15th, 2023

GS TEAM


Google News
Google News
દેશભરમાં 77માં સ્વતંત્ર દિવસની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી, વિવિધ રાજ્યોના CMએ પાઠવી શુભકામના 1 - image

સમગ્ર ભારત દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 10મી વખત તિરંગો ફરકાવ્યો છે અને પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પણ પાઠવી હતી. આ સિવાય આજે સ્વતંત્રતા દિવસ પર વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે સ્વાતંત્ર્ય પર્વની આપી શુભકામના

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વાતંત્ર્ય પર્વની શુભકામના આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે ભારતમાતાની આઝાદી માટે જીવન ખપાવી દેનાર સૌ નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોને આજના અવસરે કૃતજ્ઞતાસહ વંદન પાઠવું છું. સુખ, સુવિધા, સમૃદ્ધિથી યુક્ત નૂતન ભારતનું નિર્માણ કરીને આપણા દેશને વિકસિત રાષ્ટ્રોની હરોળમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન કરાવવાનું લક્ષ્ય આપણી સામે છે. આવો, આપણે સૌ સાથે મળી આ લક્ષ્યને સાકાર કરવા સંકલ્પબદ્ધ બનીએ.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું- સારા શિક્ષણની વ્યવસ્થા કરશે

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ ભવ્ય અવસર પર આપણે સૌ દેશવાસીઓ પ્રતિજ્ઞા લઈએ કે આપણે સાથે મળીને દેશના દરેક બાળક માટે શ્રેષ્ઠ શિક્ષણની વ્યવસ્થા કરીશું, દરેક વ્યક્તિ માટે સારી સારવારની વ્યવસ્થા કરીશું, સાથે મળીને દેશને આગળ લઈ જઈશું અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. જય હિન્દ.

સીએમ મનોહર લાલ ખટ્ટરે શુભેચ્છાઓ આપી

હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ! અસંખ્ય ભારતીયોના સંઘર્ષ અને બલિદાનના પરિણામે મળેલી આઝાદી અમૂલ્ય છે. આપણે દરેક ઘરે તિરંગો લહેરાવીને આઝાદીના આ મહાન તહેવાર સાથે યુવા પેઢીને જોડવી પડશે જેથી તેઓ આઝાદીનું મહત્વ સમજી શકે અને અમૃતકાળમાં રાષ્ટ્રનું ગૌરવ વધારીને ભારતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપી શકે.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દેશને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. CMએ કહ્યું- સ્વતંત્રતા દિવસ પર રાજ્યના તમામ રહેવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન. આઝાદીના વારસાને બચાવવાના સંકલ્પ સાથે દેશ માટે બલિદાન આપનારા વીરોને આપણે સૌ નમન કરીએ છીએ. આઝાદ ભારતમાં સામાજિક સ્વતંત્રતા અને સમાનતા માટેના આપણા પ્રયાસોને વધુ બળ મળે, નફરતની હાર અને પ્રેમની જીતની આ શુભકામના સાથે, આ શુભ દિવસની સૌને શુભકામનાઓ.

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શુભેચ્છાઓ આપી

હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ દેશને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે સ્વતંત્રતા દિવસ એ મહાન નાયકોને યાદ કરવાનો શુભ અવસર છે જેમણે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપ્યું હતું.

સીએમ શિવરાજે સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટર પર લખ્યું, "તિરંગો અમારું ગૌરવ છે. તમે બધા પણ આ ગૌરવપૂર્ણ અભિયાનનો ભાગ બનો, તમારા ઘરમાં તિરંગો ફરકાવો. દરેક ઘરમાં તિરંગો ફરકાવવો જોઈએ." આ પહેલા સીએમ શિવરાજે રાજ્યના લોકોને લાલ પરેડ ગ્રાઉન્ડ પર આવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું, "તમે બધા આવતી કાલે રેડ પરેડ ગ્રાઉન્ડ પર આવો અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરો. હું દરેકને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવું છું."

એકનાથ શિંદેએ કહ્યું - સ્વતંત્રતા દિવસ અમર રહે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું કે સ્વતંત્રતા દિવસ અમર રહે. ભારતના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. ટ્વીટમાં સીએમ યોગીએ કહ્યું- તમામ જાણીતા અને અજાણ્યા સ્વાતંત્ર્ય સેનાનીઓ, ભારત માતાના બહાદુર સપૂતોને લાખો સલામ! 77માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યની જનતાને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! અમર ક્રાંતિકારીઓના સપનાનું ભારત આજે 'આત્મનિર્ભર ભારત'ના રૂપમાં સાકાર થઈ રહ્યું છે. જય હિંદ, જયભારત!

Tags :