RBI and 2000 Notes News : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2023માં સર્ક્યુલેશનથી બહાર કરવામાં આવેલ 2000 રૂપિયાની ચલણી નોટ હજુ સુધી 100 ટકા પરત આવી નથી.
2025ના અંત સુધીના આંકડા પછી આરબીઆઇએ જણાવ્યું છે કે હજુ પણ 5000 કરોડ રૂપિયાથી વધુની 2000 રૂપિયાની નોટો પરત આવી નથી. એટલે કે આટલી રકમની નોટો હજુ પણ લોકો પાસે ઉપલબ્ધ છે.
નોટો પરત લેવાની સુવિધા અપાઇ હોવા છતાં નોટો જમા કરાવવાની પ્રક્રિયા ધીમી પડી ગઇ છે. 19 મે, 2023 ના રોજ 2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તે સમયે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટ બજારમાં ઉપલબ્ધ હતી. 31 ડિસેમ્બર, 2025 સુધી કુલ 98.41 ટકા નોટો પરત આવી છે. હજુ પણ લોકો પાસે 5669 કરોડ રૂપિયાની 2000ની નોટો પડી છે.
સરકારે નોટ પરત લેવાનો નિર્ણય લીધો તે સમયે આ નોટો જમા કરાવવાની પ્રક્રિયા ઝડપી હતી. જો કે ત્યારબાદ આ પ્રક્રિયાની ઝડપ ઘટી ગઇ હતી.
31 ઓક્ટોબરે, 2025ના રોજ બજારમાં 5871 કરોડની 2000ની નોટો બજારમાં ઉપલબ્ધ હતી. 31 ડિસેમ્બર, 2025ના રોજ 5669 કરોડની 2000ની નોટો બજારમાં ઉપલબ્ધ હતી. એટલે કે છેલ્લા બે મહિનામાં ફક્ત 148 કરોડ રૂપિયાની 2000ની નોટ જમા કરાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ સ્પષ્ટતા કરી હતી કે સર્ક્યુલેશનથી બહાર કરવામાં આવેલ 2000રૂપિયાની નોટ સંપૂર્ણપણે પરત આવતી નથી ત્યાં સુધી લિગલ ટેન્ડર બની રહેશે.


