નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2021, શનિવાર
રાજધાની દિલહીમાં ઇઝરાયલ દૂતાવાસ નજીક શુક્રવારે વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ તેને લઇને નવી નવી થિયરી સામે આવી રહી છે. ટોચની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બધા વચ્ચે તપાસકર્તાઓને ઘટનાસ્થળ નજીકના મોબાઇલ ટાવરનો ટેડા મળ્યો છે. આ વિસ્ફોટના સમયે આસપાસના વિસ્તારમાં 45 હજાર મોબાઇલ ફોન કાર્યરત હતા.
ત્યારે હવે સુરક્ષા એજન્સીઓ દ્વારા આ 45 હજાર મોબાઇલ ફોન અંગે તપાસ કરવામાં આવશે. જો કે આ 45 હજાર ફોનમાંથી શંકાસ્પદ લોકોની ઓળખ કરાવી એક પડકાર સમાન છે. આ તમામ ફોન ધમાકા પહેલા અને ધમાકા બાદ સક્રિય હતા. એક વાત એ પણ છે કે એ વાત સ્પષ્ટ નથી કે ધમાકા સમયે અપરાધીઓએ મોબઇલ ફોનનો ઉપયોગ કર્યો હતો કે નહીં.
રાજધાની દિલ્હીમાં વિસ્ફોટને 48 કલાક કરતા પણ વધારે સમય થયો છે. આ વિસ્ફોટની જવાબદારી જૈશ ઉલ હિંદ નામના એક આંતકી સંગઠને લીધી છે. જો કે હજુ સુધી તપાસ એજન્સીઓએ આ વાતની પુષ્ટિ કરી નથી. વિસ્ફોટ સ્થળ ઉપરથી તપાસ એજન્સીઓને મહત્વના સબૂત પણ મળ્યા છે.


