નવી દિલ્હી, તા. 03 ફેબ્રુઆરી 2023 શુક્રવાર
150 રૂપિયાની લાંચ મામલે 32 વર્ષ કેસ ચાલ્યો અને હવે 87 વર્ષની ઉંમરે આરોપીને દોઢ વર્ષની સજા થઈ છે. સીબીઆઈની વિશેષ અદાલતે રેલવેના સેવાનિવૃત્ત ક્લાર્ક રામ નારાયણ વર્માને બે અલગ-અલગ કલમો હેઠળ 150 રૂપિયાની લાંચના મામલે દોઢ વર્ષની જેલ અને 15 હજાર રૂપિયા દંડ ફટકાર્યો. આરોપીએ આ લાંચ મેડીકલ સર્ટિફિકેટ બનાવવા માટે લીધી હતી. આટલા દિવસની સુનાવણીમાં આરોપીનું મોત પણ નીપજ્યુ છે.
આરોપી રામ નારાયણ વર્મા 1991માં લખનૌના ઉત્તર રેલવે હોસ્પિટલમાં ક્લાર્ક પદ પર તૈનાત હતા. તેમણે સેવાનિવૃત કર્મચારી એન્જિન ડ્રાઈવર લોકો ફોરમેન રામકુમાર તિવારી પાસે મેડીકલ સર્ટિફિકેટ બનાવવાના નામે 150 રૂપિયાની લાંચ માગી હતી. ફરિયાદકર્તા ખૂબ ગરીબ હતા તેમણે ગમે તેમ કરીને 7 ઓગસ્ટ 1991એ 50 રૂપિયાની વ્યવસ્થા કરીને આરોપીને આપ્યા પરંતુ આરોપીએ 100 રૂપિયા ચૂકવ્યા વિના સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી. જેનાથી પરેશાન પીડિત રામકુમાર તિવારીએ આ મામલે તાત્કાલિક સીબીઆઈ પોલીસ અધિકારીને ફરિયાદ કરી.
પોલીસ અધિકારીએ ટીમની રચના કરીને ફરિયાદકર્તા રામકુમાર તિવારીને 50-50 રૂપિયાના બે નોટ આપ્યા અને કહ્યુ કે તેઓ લાંચ માગનાર બાબૂ રાજ નારાયણ વર્માને નજીકના ઢાબા પર બોલાવે. ઢાબા પર સીબીઆઈની ટીમે રાજ નારાયણ વર્માને લાંચના બાકીના 100 રૂપિયા લેતા દબોચવામાં આવ્યા હતા.
આ મામલાની સુનાવણી દરમિયાન જ ફરિયાદ કરનાર રામકુમાર તિવારીનું પણ મોત નીપજ્યુ. દરમિયાન લાંચ લેવાના આરોપી તરફથી હાઈકોર્ટમાં આ મામલે ઝડપી નિકાલ કરવાની અપીલ પણ દાખલ કરવામાં આવી. જેની પર હાઈકોર્ટે સીબીઆઈની વિશેષ કોર્ટને છ મહિનામાં નિકાલ કરીને કેસ ખતમ કરવાના આદેશ પણ આપ્યા હતા. કોર્ટે હાઈકોર્ટના આદેશ પર આ કેસનો નિકાલ માત્ર 35 દિવસોની સુનાવણીમાં કર્યો છે.
કોર્ટની દલીલ
સીબીઆઈ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ કે આરોપીની ઉંમર અને તેમની પાસેથી જપ્ત કરવામાં આવેલી રકમને જોવામાં આવે તો આ કોઈ મોટો કેસ નથી પરંતુ 32 વર્ષ પહેલા 100 રૂપિયાની રકમ પણ તે જરૂરિયાતમંદ માટે ખૂબ વધારે હતી જેને પેન્શન તરીકે 382 રૂપિયા મળતા હોય. કોર્ટે કહ્યુ કે જો આરોપીને તેમના દ્વારા કરવામાં આવેલા કૃત્ય માટે દંડિત કરવામાં નહીં આવે તો સમાજમાં તેનો વિપરીત પ્રભાવ પડશે.


