Chhattisgarh News: છત્તીસગઢમાં 2025ની સૌથી મોટી અથડામણ થઈ હતી. બીજાપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં 12 નક્સલી ઠાર મરાયા છે. નક્સલીઓનો ખાતમો બોલાવવા માટે હાલ 2000 જવાનોએ આખું જંગલ ઘેરી લીધું છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દક્ષિણ બીજાપુરના જંગલોમાં સવારે 9 વાગ્યાની આસપાસ સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન પર હતી. આ દરમિયાન એન્કાઉન્ટર થયું હતું. મોડી સાંજ સુધી બંને તરફથી સમયે-સમયે ગોળીબાર ચાલુ રહ્યો.
અધિકારીએ જણાવ્યું હતું કે, આ કામગીરીમાં રાજ્ય પોલીસના ત્રણ જિલ્લાઓના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ્સ (DRG), COBRAની પાંચ બટાલિયન અને CRPFની 229મી બટાલિયનના જવાન સામેલ હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓ માર્યા ગયા. વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે, તેથી વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
તેમણે કહ્યું કે, આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને કોઈ નુકસાન થયું નથી. આ સાથે, આ મહિનામાં અત્યાર સુધીમાં રાજ્યમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં 26 નક્સલીઓ માર્યા ગયા છે.
12 જાન્યુઆરી 2025ના રોજ, બીજાપુર જિલ્લાના મદ્દેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા કર્મચારીઓ સાથે અથડામણમાં બે મહિલાઓ સહિત પાંચ માઓવાદીઓ માર્યા ગયા હતા. ગયા વર્ષે, સુરક્ષા દળોએ રાજ્યમાં વિવિધ એન્કાઉન્ટરમાં 219 નક્સલીઓને ઠાર માર્યા હતા.


