શિવ મંદિરનો 118 વર્ષ જૂનો વિવાદ ફરી જાગ્યો, થાઈલેન્ડ-કમ્બોડિયા વચ્ચે હવાઈ હુમલા 9નાં મોત
- ગુરૂવાર સવારથી બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ : થાઈલેન્ડે કમ્બોડીયાનાં બે સૈન્ય મથકો પર હવાઈ હુમલા કર્યા : બંનેએ રાજદૂતો પાછા બોલાવ્યા
નવી દિલ્હી : કમ્બોડીયા અને થાઇલેન્ડ વચ્ચે વિવાદિત સીમા અંગે તણાવ ચરમ સીમાએ પહોંચ્યો છે. બંનેએ એકબીજા પર હુમલા શરૂ કરી દીધા છે. તેમાં ઓછામાં ઓછા ૯ નાગરિકોનાં મૃત્યુ થયાં છે. વાત માત્ર ગોળીબારી સુધી જ નથી રહી. થાઈલેન્ડ સેનાએ જણાવ્યું છે કે તેણે કમ્બોડીયાનાં સેના મથકો પર હુમલા કર્યા છે. તે પહેલાં બંને દેશોએ પોતપોતાના રાજદૂતોને પાછા બોલાવી લીધા છે.
થાઈ સેનાએ જ જણાવ્યું હતું કે સૌથી વધુ મૃત્યુ સી સા કેટ પ્રાંતમાં થયાં છે. ત્યાં એક ગેસ સ્ટેશન પર થેયલા હવાઈ હુમલામાં છનાં મૃત્યુ થયાં હતાં.
થાઈલેન્ડે કહ્યું છે કે તેણે કમ્બોડીયાનાં સૈન્ય મથકો પર જ હુમલા કર્યા છે. પરંતુ કમ્બોડીયાએ કહ્યું છે કે થાઈ જેટ વિમાનોએ પ્રાચીન પ્રીટ વિહાર મંદિર પાસેની એક સડક ઉપર બોમ્બ નાખ્યા હતા.
થાઈ સંરક્ષણ મંત્રાલય પ્રવક્તા સુરસંત કોંગસિરીએ કહ્યું કે ઓછામાં ઓછાં ૬ ક્ષેત્રોમાં યુદ્ધ ચાલે છે. પહેલો સંઘર્ષ ગુરૂવારે સવારે થાઈલેન્ડના સુરીન પ્રાંત અને કમ્બોડીયાના ઓદ્ધાર-મીનસ પાંતની સીમા પર થયો હતો. જે પ્રાચીન મુએન થોમ મંદિર પાસે થયો હતો.
આ વિવાદ ૧૧૮ વર્ષથી જૂનો છે. જેમાં એક પર્વત ઉપર પ્રીટ વિહાર મંદિર છે. જે ભગવાન શિવનું મંદિર છે. યુનેસ્કોએ તેને વિશ્વવિરાસતમાં મુક્યું છે. આ મંદિર અને તેની પાસેના પર્વતીય વિસ્તાર ઉપર થાઈલેન્ડનો દાવો હતો. આ ૧૧મી સદીનાં મંદિરનો મામલો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ સુધી પહોંચ્યો. જેણે તે વિસ્તાર કમ્બોડીયાનો હોવાનું કહ્યું જે થાઈલેન્ડે સ્વીકાર્ય ગણ્યો પરંતુ આસપાસની ભૂમિ પોતાની છે તેમ કહ્યું (૧૯૫૯માં મામલો ઇ.કો.ઓફ જસ્ટીસમાં ગયો જેનો ચુકાદો ૧૯૬૨માં આવ્યો હતો.)
ટાઈમ્સ રીપોર્ટ પ્રમાણે ૨૦૦૮માં તંગદિલી ભડકી ઉઠી હતી. કમ્બોડીયાએ પ્રીટ-વિહાર મંદિરને વિશ્વ વિરાસતનો દરજ્જો આપવા યુનેસ્કોમાં અરજી કરી જુલાઈ ૨૦૦૮માં તે મંજૂર થઇ તે મંદિર બંને દેશોની સરહદે રહેલી પર્વતમાળા પર આવેલું છે. તે પર્વતમાળા અમારી છે. તેમ થાઇલેન્ડ કહે છે. ૨૦૧૧માં વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો. એપ્રિલ ૨૦૧૧માં ૩૬૦૦૦ લોકો તે વિસ્તારમાંથી વિસ્થાપિત થયા ત્યારથી બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલે છે. પર્વત પર રહેલું શિવ મંદિર અત્યારે બૌદ્ધ મંદિર બની રહ્યું છે. કમ્બોડીયાનાં આંગ કોર વાટ પછીનું તે સૌથી વધુ પવિત્ર મંદિર મનાય છે.