આગરા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજમહેલને 1 કરોડની નોટિસ મોકલી
તાજમહેલને પાણી વેરાની અને પ્રોપર્ટીની નોટિસ મોકલી
15 દિવસમાં ટેક્સ જમા નહીં થાય તો તાજમહેલને જપ્ત કરવાની ચેતવણી અપાઈ
Image: Twitter |
આગરા મ્યુનિસિપલ કોર્પોરેશને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને નોટિસ પાઠવીને તાજમહેલ પર પાણી વેરા તરીકે રૂ. 1.9 કરોડ અને મિલકત વેરા તરીકે રૂ. 1.5 લાખ ચૂકવવા જણાવ્યું છે. ASIને 15 દિવસની અંદર બાકી રકમ ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. જો 15 દિવસમાં ટેક્સ જમા નહીં થાય તો તાજમહેલને જપ્ત કરવાની ચેતવણી આપવામાં આવી છે.
આવી નોટિસ પહેલીવાર મળી છે
ASI સુપરિન્ટેન્ડેન્ટ એ મીડિયાને જણાવ્યું હતું કે સ્મારકો પર પ્રોપર્ટી ટેક્સ લાગુ થતો નથી. અમે પાણી માટે કર ચૂકવવા માટે પણ જવાબદાર નથી કારણ કે તેનો કોઈ વ્યવસાયિક ઉપયોગ નથી. પરિસરમાં લીલોતરી જાળવવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તાજમહેલ માટે પાણી અને પ્રોપર્ટી ટેક્સ સંબંધિત નોટિસ પહેલીવાર મળી છે, કદાચ ભૂલથી મોકલી દેવામાં આવી હશે. ASI અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજમહેલને 1920 માં સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યો હતો અને બ્રિટિશ શાસન દરમિયાન પણ સ્મારક પર કોઈ કર કે પાણી વેરો લેવામાં આવ્યો ન હતો.
આ કેસની તપાસ ચાલુ છે
આ મામલાને લઈને મ્યુનિસિપલ કમિશનર એ કહ્યું કે તેઓ તાજમહેલ સંબંધિત ટેક્સ સંબંધિત કાર્યવાહીથી વાકેફ નથી. ટેક્સની ગણતરી માટે કરવામાં આવેલા રાજ્યવ્યાપી ભૌગોલિક માહિતી સિસ્ટમ (GIS) સર્વેક્ષણના આધારે નવી નોટિસ જારી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સરકારી ઇમારતો અને ધાર્મિક સ્થળો સહિત તેમના પર બાકી લેણાંના આધારે નોટિસ જારી કરવામાં આવી છે. કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસરીને માફી આપવામાં આવે છે. ASIને નોટિસ પાઠવવામાં આવશે તો તેના તરફથી મળેલા જવાબના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને તાજગંજ ઝોનના પ્રભારી એ કહ્યું કે તાજમહેલ પર પાણી અને પ્રોપર્ટી ટેક્સ માટે આપવામાં આવેલી નોટિસના મામલાની તપાસ કરવામાં આવી રહી છે.