બેંગલુરૂના ભક્તનું નર્મદાની પરિક્રમા દરમ્યાન તિલકવાડામાં મોત
રાજપીપળા તા.5 ફેબ્રુઆરી 2020 બુધવાર
હિન્દુસ્તાનમાં એક માત્ર નર્મદા નદીથી જ પરિક્રમા થાય છે. પ્રતિવર્ષ હજારો લોકો પોતાનો આસ્થા મુજબ પરિક્રમા કરે છે. ત્યારે બેંગલુરૂના રહીશ પણ નર્મદા નદીની પરિક્રમા કરી રહ્યો હતો.તેને એકાએક ચક્કર આવતાં તિલકવાડા ખાતે મોત થવા પામ્યું છે.
તિલકવાડાની બ્રાહ્મણ શેરી માંથી પરિક્રમા કરતો બાલન કૃષ્ણમૂર્તિ પીજી નગર બેંગલુરૂને ચક્કર આવતાં તે ગબડી પડતાં સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક ખાનગી વાહનમાં તિલકવાડાની હોસ્પિટલમાં ખસેડતા આ પરિક્રમાવાસીને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ પરિક્રમાવાસી ક્યાનો વતની છે.
તે અંગે તિલકવાડા પોલીસે તેની પાસેના થેલો અને કપડાંની તલાશી કરતાં આ પરિક્રમાવાસી પાસેથી આધારકાર્ડ મળી આવતાં તેનું નામ અને સરનામુ મળી આવતાં તિલકવાડા પોલીસે આ પરિક્રમાવાસીના કુટુંબીજનોનો સંપર્ક સાધી તેમને બનાવની જાણ કરી છે. તિલકવાડા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.