Gujarat

કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમાના મોડીફિકેશનની કામગીરી હાથ ધરાઈ

By GS Team
26 Nov 20192 mins read
This article was originally published on 26 Nov 2019
કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમાના મોડીફિકેશનની કામગીરી હાથ ધરાઈ

રાજપીપળા તા.26 નવેમ્બર 2019 મંગળવાર

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી  તંત્ર દ્વારા વ્યવસ્થાઓ કરાઈ રહી છે. પ્રવાસીઓને આકર્ષવા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ અનેક પ્રોજેક્ટોનું પણ નિર્માણ કાર્ય હાથ ધરાયુ છે.વિશ્વ કક્ષાની પ્રતિમા હોય તો એ પ્રતિમાની જાળવણી અને પ્રતિમા જોવા આવતા પ્રવાસીઓની સુરક્ષા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાળવણી અને વ્યુઇંગ ગેલેરી જોવા આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા સરદાર પટેલની પ્રતિમામા અમુક પ્રકારનું મોડીફિકેશન કરવાનું નક્કી કરાયું છે. 

182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમાની સાફ સફાઈ સહિત મેન્ટેનન્સની કામગીરી માટે પ્રતિમાનાં છાતીના ભાગે બ્રોન્ઝ મેટલની 1 મીટર બાય 1  મીટરની 10 બારીઓ અને માથાના ભાગે 1 બારી એમ કુલ 11  બારીઓ બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે.

સાફસફાઈ કરવામાં આસાની રહે તેથી બારી બનાવવા માટે પ્લાઝમા વેલ્ડીંગથી પ્રતિમાનો અમુક ભાગ કટ કરાશે અને એની પર કલેમ્પ લગાવી કટ કરેલા ભાગની જ બારીઓ બનાવશે. 

બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની 135  મીટરની ઊંચાઈએ વ્યુઇંગ ગેલેરી સુધી જવા માટે પણ પ્રવાસીઓની લાંબી લાઈનો પડે છે. તો વ્યુઇંગ ગેલેરીમાં અચાનક કોઈ અજુકતી ઘટના બને અથવા કોઈક કારણોસર આગ લાગે ત્યારે ભાગ દોડ મચવાથી મોટી જાનહાની થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.જેને કારણે પ્રવાસીઓને નીચે સુધી આવવા માટે સરદાર પટેલની પ્રતિમાના  બન્ને પગ ઉપર  2.5  મીટર બાય 1.5 મીટરના 2-2 ગેટ એમ કુલ 4 ગેટ પણ બનાવશે,જેથી પ્રવાસીઓ ગ્રાઉન્ડ ફલોર પર પહોંચેએ પહેલા ગેટની મારફતે પ્રતિમાની બહાર નીકળી પોતાનો બચાવ કરી શકે.

સરદાર પટેલની પ્રતિમામાં ઉપર થઈ રહેલા મોડીફિકેશનથી પ્રતિમાની સુંદરતા ન બગડે એનો પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે,મોડીફિકેશન બાદ પ્રતિમાની સુંદરતા પણ એટલી જ અકબંધ રહેશે . વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની સુંદરતાની સાથે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી હાલ મોડીફિકેશન થઈ રહ્યું છે.