રોકાણમાં છેતરપિંડી અને બાદમાં સાયબર ફ્રોડનો ભોગ બનતાં યુવકનો આપઘાત
યુપીમાં રહેતી પત્નીને ફોન કરી ગળાફાંસો ખાઈ લીધો
સ્યુસાઈડ નોટમાં છેતરપિંડી કરનારનું તથા રોકાણ કરવા સમજાવનાર મિત્રનું નામ લખ્યું ઃ લેપટોપ કબ્જે લઈ માનખુર્દ પોલીસની તપાસ
મુંબઇ - માનખુર્દમાં દુકાન ધરાવતા ૨૯ વર્ષના એક યુવકે પહેલા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ૧૪ લાખ ગુમાવ્યા હતા. ત્યાર બાદ સાયબર ફ્રોડમાં અંદાજે ૫૦ હજાર રૃપિયા ગુમાવતા નાસીપાસ થઈ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને પરિણામે પીડિત યુવકના પરિવાર પર આભ તૂટી પડયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર મૃતક તૌહીદ ખાને એક સુસાઇડ નોટ લખી હતી જે તેના પર્સમાંથી મળી આવી છે. આ નોટમાં તેણે એક કથિત છેતરપિંડી કરનાર વ્યક્તિનું નામ આપ્યું છે. જેની સાથે તેણે પૈસાનું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત એક મિત્રનું નામ આપ્યું હતું જેણે ઓનલાઇન રોકાણ કરવા કહ્યું હતું.
આ બાબતે મૃતક તૌહીદના નાનાભાઇ તૌસીફે જણાવ્યું હતું કે માનખુર્દમાં તેમની એક દુકાન હતી જ્યાં તેમની પાસે એક બેંકનો પેટ્રા-કોન્ટ્રાકટ હતો જેના દ્વારા લોકો નાણાકીય વ્યવહારો કરી શકતા હતા. લગભગ પાંચ મહિના પહેલા એક વ્યક્તિ જેણે વીમાં એજન્ટ હોવાનો દાવો કર્યો હતો તે એક યોજના લઇ આવ્યો હતો જેમાં માસિક ભારે વળતર આપવામાં આવતું હતું. તેથી તૌહીદે ૧૪ લાખનું રોકાણ કર્યું હતું. જોકે બે મહિના પછી આરોપીએ ચૂકવણી કરવાનું બંધ કરી દીધું હતું અને તે તેના પરિવાર સાથે ભાગી ગયો હતો.
તૌસીફે આરોપ કર્યો હતો કે આ ઘટના બાદ તેનો ભાઇ પોલીસ પાસે ગયો હતો પણ તેમણે ફરિયાદ નોંધી નહોતી. તૌહીદે આ રકમ ચૂકવવા લોન લીધી હતી. તેને ૨૦ હજારનો હપ્તો (ઇએમઆઇ) આવતો હતો જે ચૂકવવા તે સંઘર્ષ કરી રહ્યો હતો. આ ઉપરાંત તેણે ટેલિગ્રામની એક લીંકમાં ઉંચા વળતરની લાલચે ૫૦ હજારથી વધુની રકમ રોકી હતી જોકે આ રકમ પણે તેણે ગુમાવતા તે નાસી-પાસ થઇ ગયો હતો અને યુપીમાં રહેતી પત્નીને ફોન કર્યા બાદ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
તૌહીદે લખેલી સુસાઇડ નોટ તેના પાકીટમાંથી મળી આવ્યા બાદ તેના આધારે એફઆઇઆર નોંધવા માટે તેના ભાઇએ પોલીસનો સંપર્ક કર્યો છે. માનખુર્દ પોલીસે તૌહીદ ખાનનું કોમ્પ્યુટર જપ્ત કર્યું છે, જેમાં સુસાઇડ નોટ ટાઇપ કરવામાં આવી હતી. આ ઘટના બાદ મૃતકના ભાઇની ફરિયાદના આધારે માનખુર્દ પોલીસે આ બાબતે તપાસ શરૃ કરી છે અને તપાસ પૂરી થયા બાદ એફઆઇઆર નોંધવી કે નહી તેનો નિર્ણય લેવામાં આવશે તેવું સ્થાનિક માનખુર્દ પોલીસ મથકના સિનિયર ઇન્સ્પેકટર મધુ ઘોરપડેએ જણાવ્યુ ંહતું.