સસરાની પ્રાર્થના સભા માટે લંડન જવા નીકળેલી યેશા, તેના પુત્ર તથા સાસુનાં મોત
નાગપુર રહેતા પિતાએ સવારે દીકરી સાથે વાત કરી, બપોરે ક્રેશના સમાચાર મળ્યા
નાગપુરની યેશાનાં અમદાવાદના મોઢા પરિવારમાં લગ્ન થયાં હતાં ઃ ૨૨મી જૂને લંડનમાં સસરાની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી
મુંબઈ - અમદાવાદની કમનસીબ પ્લેન દુર્ઘટનાનો ભોગ બનેલી મૂળ નાગપુરની યેશા કામદાર-મોઢાએ આજે સવારે જ તેના પિતા સાથે ફોનમાં વાત કરી હતી. બસ ત્યાર પછી થોડા કલાકમાં જ દેશની આ સૌથી ખોફનાક પ્લેન દુર્ઘટનાના સમાચાર મળ્યા હતા.
નાગપુરવાસી યેશા કામદારાના લગ્ન અમદાવાદમાં મોઢા પરિવારમાં થયા હતા. યેશાના પિતા મનીષ કામદારે મીડિયાને જણાવ્યું હતું કે આ ફ્લાઇટમાં મારી પુત્રી યેશા, તેનો દોઢ વર્ષનો દીકરો રુદ્ર અને સાસુ સફર કરતા હતા. લંડન જઈ રહેલી યેશાએ આજે સવારે જ મારી સાથે ફોનમાં વાત કરી હતી. બસ ત્યાર પછી બપોરે પ્લેન ક્રેશના સમાચાર મળ્યા હતા.
અકસ્માત પછી લાંબા સમય સુધી એરલાઇન્સ કે સરકાર તરફથી અમને કોઈ જ જાણકારી આપવામાં નહોતી આવી કે સંપર્ક સાધવામાં નહોતો આવ્યો. મારા જમાઈ સિવિલ હોસ્પિટલની બહાર જ ઊભા છે. કોઈને અંદર જવા દેવામાં નથી આવતા. અકસ્માતનો ભોગ બનેલાના સગા-વ્હાલા બહાર ઊભા હતા. એમને કહેવામાં આવ્યું હતું કે એકવાર મુખ્ય પ્રધાન હોસ્પિટલની મુલાકત લેશે પછી જ સગા-વ્હાલાને અંદર જવા દેવામાં આવશે.
મોટર રસ્તે અમદાવાદ જવા નીકળતા પહેલાં મનીષ કામદારે જણાવ્યું હતું કે મારી પુત્રીના સસરા લંડનમાં રહેતા હતા અને ગયા મહિને તેમનું અવસાન થયું હતું. એટલે મારી દીકરી અને સાસુ સસરાની પ્રાર્થનાસભા માટે લંડન જઈ રહ્યા હતા. ૨૨મી જૂને પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી.