Mumbai

બાળકીની હત્યાના આરોપમાં મહિલા નિર્દોષ પણ પુરાવો નાશ કરવા બદલ ૩ વર્ષની જેલ

By GS TEAM
7 Dec 20252 mins read
બાળકીની હત્યાના આરોપમાં મહિલા નિર્દોષ પણ પુરાવો નાશ કરવા બદલ ૩ વર્ષની જેલ

શિક્ષણ આપવાના બહાને સાથે લાવીને ઘરકામ કરાવ્યાનો આરોપ

બાળકીનું મૃત્યુ કેવી રીતે થયું એ ફરિયાદ પક્ષ  સાબિત કરવામાં નિષ્ફળ ગયો હોવાની નોંધ

મુંબઈ - થાણેની એક કોર્ટે ૨૦૧૯ માં ૯ વર્ષની બાળકીની હત્યાના ગુનામાંથી એક મહિલાને નિર્દોષ જાહેર કરી છે, પરંતુ બાળકીના મૃત્યુ સંબંધિત પુરાવાનો નાશ કરવા બદલ તેણી અને તેના સહ-આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં છોકરીના મૃત્યુનું કારણ દર્શાવવામાં આવ્યું નથી, કારણ કે લાશ સડી ગયેલી હાલતમાં મળી આવી હતી. તેથી, સ્પષ્ટપણે એવું લાગે છે કે ફરિયાદ પક્ષ છોકરીનું મૃત્યુ કેવી રીતે થયું તે સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે, એમ એડિશનલ સેશન્સ જજ એએસ ભાગવતે ગુરુવારે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું.

છોકરીને શિક્ષણ આપવાના બહાને છત્રપતિ સંભાજીનગરથી આરોપી અનિતા રાઠોડ (૪૦) અને તેના હાલ મૃત પતિ પ્રકાશ રાઠોડ સાથે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉત્તનમાં રહેવા લાવવામાં આવી હતી. પ્રકાશ રાઠોડ છોકરીની માતાનો સંબંધી હતો અને આ કેસમાં ફરિયાદી છે.

ફરિયાદ પક્ષનો આરોપ છે કે દંપતીએ બાળકીને ઘરકામ કરવા દબાણ કર્યું અને તેણી યોગ્ય રીતે કામ ન કરી શકવા અને કપડાં પહેરીને શૌચ કરવા બદલ ગુસ્સામાં છોકરીનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ કેસમાં ચાર્જશીટ દાખલ થાય તે પહેલાં પ્રકાશ રાઠોડે આત્મહત્યા કરી લીધી હતી.

કોર્ટે નોંધ્યું કે આ ઘટનાના કોઈ નજરે જોનારા સાક્ષી નથી.

 વધુમાં, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મૃતકના મૃત્યુનું કારણ દર્શાવતો નથી કારણ કે શરીર સડી ગયેલી સ્થિતિમાં હતું. તેથી, સ્પષ્ટપણે એવું લાગે છે કે ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો કે મૃતકનું મૃત્યુ કેવી રીતે થયું,એમ કોર્ટે જણાવ્યું હતું.

કોર્ટે છોકરી સાથે થયેલા દુર્વ્યવહાર અંગેના પુરાવા અસ્પષ્ટ અને અવિશ્વસનીય હોવાનું પણ શોધી કાઢયું હતું. જેમાં કહેવામાં આવ્યું કે કથિત મારપીટ સમયે સાક્ષીઓ હાજર ન હતા.

 ન્યાયાધીશે નોંધ્યું હતું કે  આરોપી અનિતાના હાથે મૃતક પર થયેલા કોઈપણ હુમલા, દુર્વ્યવહાર, સંપર્ક અથવા માનસિક કે શારીરિક વેદના અંગે કોઈ મજબૂત પુરાવા રેકોર્ડ પર લાવવામાં આવ્યા નથી, તેથી ફરિયાદ પક્ષ તેને સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. 

હત્યાના આરોપમાંથી નિર્દોેષ છૂટયા છતાં  અનિતા અને સહ-આરોપી આકાશ સોપાન ચવ્હાણ (૩૧) ને  ગુનાના પુરાવા ગાયબ કરવા, અથવા ગુનેગારને ખોટી માહિતી આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

 કોર્ટે જણાવ્યું હતું કે પુરાવાઓથી સાબિત થયું કે આકાશ અને અનિતા ગુનાના પુરાવા ગાયબ કરવામાં  સાથે મળેલા હતા.

સજાની સાથે,કોર્ટે આરોપીઓને ૫,૦૦૦ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો અને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ હેઠળ તેમને મુક્ત કરવાની તેમની વિનંતીને નકારી કાઢી હતી.