કોણ છે મહેશ માંજરેકર ? ભારતીય સિનેમામાં તેમનું શું યોગદાન છેઃ જીતેન્દ્ર આવ્હાડ
- ગાંધી હત્યા કરનારા ઉપરની 'ગોડસે' ફિલ્મની જાહેરાત કરતા છંછેડાયો વિવાદનો મધપૂડો
મુંબઈ
એનસીપીનાના નેતા અને રાજ્યના ગૃહનિર્માણમંત્રી જિતેન્દ્ર આવ્હાડએ ફિલ્મ ડાયરેક્ટર મહેશ માંજરેકરની નવી ફિલ્મ 'ગોડસે' સામે વાંધો ઉઠાવ્યો છે.
અભિનેતા અને દિગ્દર્શક મહેશ માંજરેકરે ૨ ઓક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. મહેશ માંજરેકરે જાહેરાત કરી છે કે તેઓ મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસે પર ફિલ્મ બનાવી રહ્યા છે. મહેશ માંજરેકરે મહાત્મા ગાંધીની ૧૫૨ મી જન્મજયંતી નિમિત્તે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. મહેશ માંજરેકરની નવી ફિલ્મની જાહેરાત બાદ સંમિશ્ર પ્રત્યાઘાત પડયા છે અને નવો વિવાદ ઉભો થવાની શક્યતા છે.
એનસીપીના નેતા અને રાજ્યના ગૃહનિર્માણમંત્રી જિતેન્દ્ર આવ્હાડએ પણ મહેશ માંજરેકરની નવી ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. કોણ છે મહેશ માંજરેકર? ભારતીય સિનેમામાં તેમનું શું યોગદાન છે? એવો સવાલ તેમણે કર્યો છે. લોકોનું ધ્યાન ખેંચવા માટે તેમના પર નાટક હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
દરમિયાન, મહેશ માંજરેકરે ફિલ્મનું ટીઝર શેર કરતા કહ્યું છે કે, વર્ષગાંઠની ઘાતક શુભકામનાઓ ! કોઈએ ક્યારેય કહેવાની હિંમત ન કરી હોય તેવી વાર્તા જોવા માટે તૈયાર રહો ! સંદીપ સિંહ, રાજ શાંડિલ્ય અને મહેશ માંજરેકરે મહાત્મા ગાંધીની ૧૫૨મી જન્મજયંતિ પ્રસંગે ફિલ્મ 'ગોડસે' ની જાહેરાત કરી છે.
તેમણે આગળ કહ્યું, નથુરામ ગોડસેની વાર્તા હંમેશા મારા દિલની નજીક રહી છે. આવી ફિલ્મને ટેકો આપવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે. હું હંમેશા માનું છું કે જ્યારે મુશ્કેલ વિષયો અને વાર્તા કહેવાની વાત આવે ત્યારે કોઈ સમાધાન ન કરવું જોઈએ. મહાત્મા ગાંધીના હત્યારા ઉપરાંત, લોકો ગોડસે વિશે વધારે જાણતા નથી. આ કહેતા, અમે કોઈનો પક્ષ લેવા કે કોઈની વિરુદ્ધ બોલવા માંગતા નથી. કોણ સાચું છે અને કોણ ખોટું છે તે નક્કી કરવાનું અમે પ્રેક્ષકો પર છોડીશું.