ખરાત સામે વધુ એક કેસઃ ક્લિપ મળી તો એઆઈ જનરેટેડ જણાવીે
મહિલા કોઈને ફરિયાદ કરશે તો પોતાની શક્તિઓના કારણે તેના માં-બાપનું મૃત્યુ થશે તેવી ધમકી આપી હતી
મુંબઈ - ઢોંગી ખરાત સામે ફરિયાદ કરવા સતત મહિલાઓ આગળ આવી રહી છે. બુધવારે પણ અહિલ્યાનગર જિલ્લાના શિર્ડીની એક મહિલાએ આગળ આવી ખરાત સામે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધ્યો છે.
શર્ડીની અપરિણિત મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ખરાતે જુલાઈ અને ડિસેમ્બર ૨૦૨૪ વચ્ચે તેના પર ચાર વખત બળાત્કાર ગુજાર્યો હતો.
આ નવી એફઆઈઆર બાદ ખરાત સામે કુલ સાત ગુનાઓની નોંધ થઈ છે. અત્યાર સુધીમાં છ મહિલાઓ જાતીય શોષણની ફરિયાદો સાથે આગળ આવી છે. જ્યારે એક કેસ ખરાતના જ એક ભૂતપૂર્વ ઓફિસ કર્મચારી દ્વારા દાખલ કરવામાં આવ્યો છે જેમાં તેણે ખરાત પર તેની પત્ની પર બળાત્કારનો આરોપ મૂક્યો છે.
ખરાતે કથિત રીતે પીડિતાને ધમકી આપી હતી અને દાવો કર્યો હતો કે તેની પાસે દૈવી શક્તિઓ છે અને જો તે આ દુર્વ્યવહારના ખુલાસો કોઈ સામે કરશે તો તેના પરિવારને નુકસાન પહોંચી શકે છે અથવા તેના માતા-પિતાના મૃત્યુનું કારણ પણ બની શકે છે.
મહિલા અને તેના માતા-પિતાએ સૌપ્રથમ ૨૦૨૧માં ખરાતનો સંપર્ક તેની ઓફિસમાં કામ કરતા નીરજ જાધવ દ્વારા કર્યો હતો. આ સમયે તેમણે તેમના પ્લોટ પર ઘર બનાવવા માટે ખરાત પાસે માર્ગદર્શન માંગ્યું હતું. મહિલાએ દાવો કર્યો હતો કે ખરાતે તેમને સંબંધિત પ્લોટ પર બાંધકામ ન કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે તે પછીથી ઉપાય આપશે.
જુલાઈ, ૨૦૨૪માં મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ પીડિતા તેના માતા- પિતા સાથે ફરી ખરાતને મળી હતી કારણ કે તે સારી નોકરી મેળવવા માટે તેનું માર્ગદર્શન મેળવવા માંગતી હતી. ફરિયાદ મુજબ ખરાતે તેના માતા-પિતાને તેની ચેમ્બર બહાર રાહ જોવા કહ્યું હતું. ત્યારબાદ તેણે કથિત રીતે મહિલાને બેહોશ કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે ત્યારબાદ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં તેણે તેના પર ત્રણ વાર અત્યાચાર કર્યો હતો.
મહિલાએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં તેણે વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી એક વીડિયો ક્લિપ મળી હતી જેમાં ખરાત અને તેની વચ્ચેના કૃત્યો દર્શાવવામાં આવ્યા હતા. જ્યારે પીડિતાએ ખરાતનો આ મુદ્દે સામનો કર્યો ત્યારે તેણે કથિત રીતે દાવો કર્યો હતો કે આ ક્લિપ એઆઈ દ્વારા જનરેટ કરવામાં આવી છે. આ સાથે જ ખરાતે પીડિતાને ક્લિપ મોકલનાર સામે ફરિયાદ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ તેણે શિર્ડી પોલીસનો સંપર્ક કર્યો હતો પણ કથિત અત્યાચારનો ઉલ્લેખ કર્યો નહોતો.
આ બાદ હાલમાં ખરાતનો દુષ્કૃત્યો સામે આવ્યા બાદ પીડિતાએ તેના માતા-પિતાને કથિત દુર્વ્યવહારની વાત જણાવ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.
વિધાનસભાના ગૃહમાં આક્ષેપ કરાયો
ખરાતની એક પત્રકારની હત્યામાં સંડોવણીનો આરોપ
જોકે, પત્રકારના કાકાએ આ આરોપો ફગાવ્યા
અશોક ખરાતને બચાવવા ૨૦૦૭માં નાસિકના પત્રકાર બાળુ તુપેની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ એનસીપીના ધારાસભ્ય જિતેન્દ્ર અવ્હાડે વિધાનસભામાં કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તે વખતે ખરાતને બચાવવા માટે પૈસા વેરાયા હતા પોલીસ અધિકારીઓએ સમગ્ર કેસમાં ભીનું સંકેલ્યુું હતું.
જોકે, તુપેના કાકા સની રોકડેએ આ દાવો ફગાવતાં કહ્યું હતું કે તુપેની હત્યાને ખરાત કેસ સાથે કોઈ લેવાદેવા નથી.


