વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગની શક્યતાને મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરે નકારી કાઢી
- શિવસેનાની ૫૬મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધવામાં
- સેનાની આગેવાનની હેઠળની મહાવિકાસ આઘાડીમાં વિભાજન નહિ થાય
મુંબઈ : વિધાન પરિષદની આવતીકાલે યોજાનારી ચૂંટણી ગુપ્તદાન પધ્ધતિથી યોજાશે પણ મહાવિકાસ આઘાડીમાં કોઈ વિભાજન થશે નહિં અને ક્રોસ વોટિંગ પણ થવાની શક્યતાને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ નકાડી દીધી હતી.
અમે અમારા તમામ ધારાસભ્યોને આવતીકાલે મતદાન માટે વિધાન ભવનમાં એક સાથે લઈ જશું. એમ કહીને ઠાકરેએ શિવસેનાની ૫૬મી વર્ષગાંઠના દિવસના અવસર પર શિવસેનાના ધારાસભ્યો અને પક્ષના વરિષ્ઠ નેતાઓને સંબોધતા કહ્યું હતું.
પક્ષે ભવિષ્યમાં વધુ ધારાસભ્યોને ચૂંટવા માટે સખત મહેનત કરવી પડશે એમ કહીને ઉધ્ધવ ઠાકરે જણાવ્યું હતું કે આવતીકાલે યોજાનારી વિધાન પરિષદની ચૂંટણી વિશે તેઓ ચિંતિત નથી.
મહારાષ્ટ્રની છ બેઠકો માટે ૧૦ જૂને યોજાયેલી રાજ્ય સભાની ચૂંટણીમાં હાર દુર્ભાગ્યપૂર્ણ હતી. આ ચૂંટણીમાં શિવસેનાના મત વિભાજિત થયા ન હતા. અમને ખ્યાલ છે કે શું ખોટું થયું છે. તેથી કોઈ પ્રશ્ન નથી. આવતીકાલે પણ વિધાન પરિષદમાં ક્રોસ વોટિંગ નહિં થાય એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આવતીકાલની ચૂંટણી બતાવશે કે અમારી વચ્ચે કોઈ વિભાજન નથી. બન્ને ઉમેદવાર સચિન આહિર અને અમશ્યા પાડવી આ નવા નેતાઓ ચૂંટાઈને આવશે.
ઠાકરેએ સુભાષ દેસાઈ અને દિવાકર રાઉતને ફરીથી બીજી મુદત માટે વિધાન પરિષદમાં નામાંકિત કર્યા નથી. તેઓ શિવસેનાના પ્રમુખ દિવંગત બાળ ઠાકરેની મૂળ ટીમના છે. તેઓએ પાર્ટીની રચના કરી હતી. હું તેમને નિવૃત્ત થવા દઈશ નહીં. તેમને મેં શિવસેનાને મજબૂત કરવાની કામગીરી સોંપી છે એમ ઠાકરેએ જણાવ્યું હતું. દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે બાળ ઠાકરેને હિંદુત્વના પિતા ગણાવ્યા હતા.
વર્ષ ૨૦૧૯ની રાજ્યની ચૂંટણીમાં સેનાએ ૫૬ વિધાનસભાની બેઠકો જીતી હતી અને રવિવારે પાર્ટીના ૫૬માં વર્ષગાંઠ દિવસે સંજય રાઉતે ફિલ્મનો શીર્ષકનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અબતક છપ્પન અમારી પાસે હજી ઘણા વર્ષો છે. એમ કહીને રાજકીય હરીફોને તેમણે જણાવ્યું હતું.