આદિવાસીઓને આજીવીકા ગુમાવવાનો ભય
દાયકાઓથી નેશનલ પાર્કમાં વસતા લોકોેને ખસેડવાની હિલચાલ સામે આકરો વિરોધ
મુંબઈ - બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્કમાં દાયકાઓથી આદિવાસી પાડાઓમાં રહેતા આદિવાસી પરિવારોને બીજે ખસેડવાની થઈ રહેલી હિલચાલના વિરોધમાં આદિવાસીઓ તરફથી આવતી કાલે બુધવારે નેશનલ પાર્કમાં જંગી મહાગ્રામસભાનું આયાોજન કરવામાં આવ્યું છે.
સભાના આયોજકોએ એવો આક્ષેપ કર્યો હતો કે અનેક વર્ષોથી નેશનલ પાર્કના જંગલમાં રહેતા આદિવાસીઓને અતિક્રમણકારી ગણીને તેમને હાંકી કાઢવાનો સત્તાવાળાઓએ આખો ત્રાગડો રચ્યો છે. આદિવાસીઓનું સ્થળાંતર કરી બીજે વસાવવાની પણ યોજના હોવાનું કહેવાય છે. આની સામે વિરોધ વ્યક્ત કરવા અને આદિવાસીઓના જંગલના અધિકારો વિશે જનજાગૃતિ આણવા અને જો સ્થળાંતર થશે તો આજિવિકાની સમસ્યા ઉભી થશે એ મુદ્દો ઉઠાવવા માટે મહાગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આદિવાસી મહાગ્રામ સભામાં મુંબઈ, થાણે અને મીરા-ભાયંદરના આદિવાસીઓ મોટી સંખ્યામાં ભાગ લેશે. નેશનલ પાર્કના ચિંચપાડામાં આ સભા યોજાશે એમ આયોજક સંગઠન આદિવાસી એકતા પરિષદે જણાવ્યું હતું.
આયોજકો દ્વારા સૂચિત સ્થળાંતર અને પુનર્વસન યોજના બાબત શંકા અને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કારણકે કેટલાય આદિવાસી પરિવારોને અતિક્રમણ કરી ગણાવવામાં આવ્યા છે. ગઈ ૨૦મી માર્ચે રાજ્ય સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા જી.આર. (જનરલ રિઝોલ્યુશન)માં નેશનલ પાર્કના આદિવાસીઓનું પુનર્વસન આરે કોલોનીમાં કરવાનું સૂચવાયું છે. આદિવાસીઓને બીજી જગ્યાએ ખસેડવામાં આવતા પારંપારિક રીતે આજિવિકા રળે છે એ ગુમાવી બેસશે એવો ભય છે એમ આદિવાસી હક્ક સંવર્ધન સમિતિના પ્રમુખ દિનેશ હબાળેએ જણાવ્યું હતું.


