ગુજરાતના ગાંધીનગરના યુવક પાસેથી 11 લાખના વાઘ-સિંહના નખ જપ્ત
Updated: Sep 19th, 2023
બોરીવલીમાં સંરક્ષિત વન્ય પ્રાણીના નખોનો વેપાર
મહાબળેશ્વરના 3 શખ્શો પાસેથી પણ વાઘની ખાલ તથા 12 નખ મળી આવ્યા
મુંબઈ : બોરીવલીમાં પોલીસે ગુજરાતના ગાંધીનગરના એક યુવક પાસેથી ૧૧ લાખ રૃપિયાની કિંમતના સિંહ- વાઘ નખ જપ્ત કર્યા હતા. ૨૮ વર્ષીય આરોપી જીગર પંડયા પાસેથી પોલીસે ઉક્ત પ્રતિબંધક વસ્તુ જપ્ત કરી હતી.બોરીવલીમાં જ મહાબળેશ્વરથી આવેલા ત્રણ લોકો પાસેથી પણ વાઘની ખાલ તથા નખ સહિત આશરે દસ લાખનો જથ્થો જપ્ત કરાયો હતો
પોલીસ સૂત્રોનુસાર તેમને મળેલી ગુપ્ત માહિતી મુજબ ગુજરાતથી એક વ્યક્તિ સિંહ- વાઘ નખ વેચવા મુંબઈ આવવાનો છે જાણ થઈ હતી. આ માહિતીને આધારે બોરીવલી પોલીસે એસ.વી. રોડ ખાતે એમટીએનએલ ઓફિસ પાસે છટકું ગોઠવ્યું હતું.
આ સમયે એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ફરતો નજરે પડયો હતો. પોલીસે તેના પાસે જઈ તેની પૂછપરછ કરતા તે ણે પોતાની ઓળખ ગુજરાતના ગાંધીનગરના નામ જીગર પંડયા ત રીકે આપી હતી. પોલીસને તેના પાસેથી બે સિંહના અને અમુક વાઘના નખ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ તેની વન્યજીવન સંરક્ષણ કાયદાની કલમ ૩૯, ૪૪, ૪૮ અને ૫૧ હેઠળ ધરપકડ કરી હતી. પોલીસ હવે એ વાતની તપાસકરી રહી છે કે પંડયા આ પ્રતિબંધક વસ્તુઓ ક્યાંથી લાવ્યો અને આ વસ્તુઓ મુંબઈમાં કોને આપવાનો હતો.
દરમિયાન, બોરીવલી ખાતે વાઘની ખાલ અને નખ વેચવા સાતારાના મહાબળેશ્વરથી ખાસ મુંબઈ આવેલા ત્રણ જણને પોલીસે પકડી પાડયા હતા. એમએચબી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસને મળેલી એક ગુપ્ત સૂચનાને આધારે પોલીસે રવિવારે એલઆઈસી ગ્રાઉન્ડ ખાતેથી ત્રણ વ્યક્તિને અટકાવી તેમના કબજામાંથી વાઘની ખાલ અને ૧૨ નખ કબજે કર્યા હતા.
પકડાયેલા આરોપી સૂરજ કરંડે (૩૦) મોહસિન જુન્દ્રે અને મંજૂર નાનકર (૩૬) મૂળ સાતારા જિલ્લાના મહાબળેશ્વરના વતની છે. આ ત્રિપુટી મુંબઈ શહેરમાં ૧૦.૬૦ લાખ રૃપિયાની કિંમતનો આ માલ ડિલીવરી કરવા માટે આવ્યા હતા. આ લોકોની પોલીસે વન્ય જીવન સંરક્ષણ કાયદાની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી હતી.