Mumbai

ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એકની ધરપકડ

By GS TEAM
4 Aug 20251 min read
ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એકની ધરપકડ

પોલીસના 112 ઈમરજન્સી નંબર પર કોલ 

દારુની દુકાનમાં કામ કરતા યુવકનો કોઈ ગુન્હાઈત ભૂતકાળ નહિ, ઈરાદા  વિશે તપાસ

મુંબઈ : નાગપુર જિલ્લામાં વર્ધા રોડ પર આવેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના આરોપસર નાગપુર પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. 

પોલીસે ગડકરીના નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા બાબતે ઉમેશ વિષ્ણુ રાઉત નામના આરોપીની ધરપકડ કરી છે જે હાલ પોલીસ કસ્ટડીમાં છે. તેનો કોઈ ગુન્હાઈત ભૂતકાળ જાણવા  મળ્યો નથી. તે દારુની દુકાનમાં કામ કરે છે. આવી ધમકી આપવા  પાછળના તેના આશયની તપાસ થઈ રહી છે. 

નાગપુર શહેરના પોલીસ કન્ટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર ૧૧૨ પર એક કોલ આવ્યો હતો જેમાં એવી ચેતવણી આપવામાં આવી હતી કે ગડકરીના મહાલ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનને દસ મિનિટમાં ઉડાવી દેવામાં આવશે. ત્યારબાદ આ વાતની જાણ સ્થાનિક રાણા પ્રતાપનગર અને કોતવાલી પોલીસ મથકને કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબર ટ્રેસ કરતા આ નંબર મહલ- સક્કરદરા વિસ્તારમાં જ રહેતા ઉમેશ વિષ્ણુ રાઉતના નામે નોંધાયેલો  જણાતાં તરત જ તેની ધરપકડ કરાઈ હતી. 

ગડકરીના નિવાસસ્થાને બોમ્બ સ્કવોડની તપાસમાં કશું શંકાસ્પદ  મળ્યું ન હતું. 

 આ ઘટના બાદ પોલીસે ગડકરીના નિવાસસ્થાનની આસપાસ સુરક્ષા વધારી દીધી છે.