Get The App

દર વર્ષે દાઝી જતા હજારો લોકોનાં ફક્ત ત્વચા દાનના અભાવે મોત

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
દર વર્ષે દાઝી જતા હજારો લોકોનાં  ફક્ત ત્વચા દાનના અભાવે મોત 1 - image

અનેક ગેરસમજના કારણે હજુ ત્વચાદાન અંગે લોકો જાગૃત જ નથી

દર વર્ષે દાઝવાને લીધે ૧.૪ લાખ દરદી મૃત્યુ પામે છે, આમાંથી અડધોઅડધ એટલે કે ૭૦ હજાર દર્દીઓને સ્કીન ગ્રાફટિંગથી બચાવી શકાય

મુંબઈમાં દર મહિન ૧૫૦ દર્દીને ત્વચાની જરુર પરંતુ માંડ ૩૦ દર્દીઓને દાન મળે છે

મુંબઈભારતમાં દર વર્ષે આગ અને અકસ્માતમાં દાઝવાની ૭૦ લાખ ઘટના બને છે. એમાંથી ૧.૪ લાખ દરદી મૃત્યુ પામે છે. જો ત્વચાદાન (સ્કીન ડોનેશન) વિશે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે અને સ્કીન બેન્કને પૂરતા પ્રમાણમાં ત્વચા મળી રહે તો દર વર્ષે લગભગ ૭૦ હજાર વ્યક્તિનો જીવ બચાવી શકાય તેમ છે. પરંતુ ભારતમાં કમનસીબે ત્વચા દાન અંગે હજુ લોકોમાં જાગૃતિ નથી.  મુંબઈમાં દર  મહિને ૧૫૦ દર્દીઓને ત્વચાની જરુર હોય છે પરંતુ તેમાંથી માંડ ૩૦ને ત્વચા દાન મળે છે.

ત્વચાદાન  કરનાર મૃત વ્યક્તિના શરીર પરથી ઉતારવામાં આવેલી ચામડી સખત રીતે દાઝી ગયેલા દરદીને લગાડવામાં આવે તો તેને ચેપ લાગતો નથી, ઝડપથી ઘા રૃઝાય છે, દુઃખાવો ઓછો થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે. આ રીતે જે દરદીના શરીરનો ૭૦ ટકા ભાગ દાઝી ગયો હોય તેને નવું જીવન આપી શકાય છે. પરંતુ ત્વચાદાનનું પ્રમાણ એટલું ઓછું છે કે હજારો બર્ન પેશન્ટ ત્વચાના અભાવે જીવ ગુમાવે છે.

નેત્રદાન, કિડની દાન કે પછી બીજા કોઈ અવયવદાન વિશે લોકોમાં જાણકારી પ્રવર્તે છે, પણ ત્વચાદાન વિશે હજી ઘણી ગેરસમજ છે. હકીકતમાં વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછી તેના સાથળ, પગ અને પીઠના ભાગની ચામડીનું  અત્યંત પાતળું પડ ખાસ સાધનની મદદથી ઉતારી લેવામાં આવે છે. આમાં જરા પણ લોહી નથી નીકળતું. ચામડી ઉતારવાની વિધિ માત્ર ૪૫ મિનિટમાં પૂરી કવામાં આવે છે.  સંપર્ક સાધવામાં આવ્યા બાદ  ટીમ બે કલાકમાં મૃત વ્યક્તિના ઘરે પહોંચી જાય છે. એટલે વ્યક્તિ હયાત હોય ત્યારે જ પ્રતિજ્ઞાાપત્ર પર સહી કરીને મૃત્યુ બાદ ત્વચાદાનની ઇચ્છા વ્યક્ત કરી હોય છે તેના ઘરે જઈને ત્વચાદાન લેવામાં આવે છે. પૂરતા પ્રમાણમાં ત્વચાદાન મળે અને દેશભરમાં સ્કીન બેન્કો ખુલી જાય તો હજાર દાઝેલા દરદીઓને મોતના મુખમાંથી છોડાવી શકાય  છે.

મુંબઈમાં  કુલ  ચાર સ્કીન બેન્ક છે. આ ચાર સ્કીન બેન્ક કેઈએમ, સાયન અને મસીના હોસ્પિટમાં અને ચોથી ઐરોલીના નેશનલ બેર્ન્સ સેન્ટરમાં આવેલી છે.

જ્યારે  આ વર્ષ દરમિયાન વડોદરા, અંકલેશ્વર, સુરત અને પોરબંદરમાં ચાર સ્કીન બેન્ક કામ કરતી થઈ જશે.

કઈ વ્યક્તિની ત્વચ મૃત્યુ પછી ઉતારી ન શકાય એ વિશે  તેમણે કહ્યું હતું કે  એચઆઇવી અને હેપટાઇટીસ-સીના દરદી તેમ જ ચામડીનું કેન્સર હોય એ વ્યક્તિની ત્વચાનું દાન લઈ નથી શકાતું. બાકી ૧૮ વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી ત્વચાદાન થઈ શકે છ એમ નેશનલ બર્ન્સ સેન્ટરના ડો. સુનીલ કેશવાનીએ આજે ત્વચા દાન અંગેના એક જાગૃતિ કાર્યક્રમમાં સંબોધતાં જણાવ્યુું હતું.

ત્વચાદાન  વિશે ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવતી જાય છે. એટલે જે મૃત વ્યક્તિએ ત્વચાદાન કર્યું હોય તેની પ્રાર્થના સભામાં બર્ન્સ સેન્ટરના વોલન્ટિયર્સ જાય છે અને ત્યાં આવેલા લોકોને ત્વચાદાન પ્રતિજ્ઞાાપત્ર પર સહી કરવા માટે મોટીવેટ કરે છે.