રીઢા ચોર સામે ૧૪ જેટલા ગુના નોંધાયેલા છે
અંધેરી લોખંડવાલામાં બાથરૃમની બારીમાંથી અંદર ઘૂસી સોના, હીરા, ચાંદીના દાગીના, રોકડ રકમની ચોરી કરી હતી
મુંબઇ - અંધેરીના લોખંડવાલામાં અભિનેતા અભિમન્યુ સિંહના નિવાસસ્થાને ચોરી કરવાના આરોપમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી રૃા.૧.૩૭ કરોડની ચોરી કરેલી કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
વિરાર (પૂર્વ)ના મનોજ મોહન રાઠોડ (ઉ.વ.૪૦)ને પકડીને પોલીસે વધુ તપાસ આદરી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આરોપી મનોજ મુંબઇ અને તેની નજીકના વિસ્તારોમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ઓછામાં ઓછા ૧૪ અન્ય કેસમાં પણ સંડોવાયેલો હતો.
અંધેરી (પશ્ચિમ)માં લોખંડવાલામાં અભિનેતાના બંગલોમાં ૨૯-૩૦ ડિસેમ્બરની મધરાતે ચોરી થઇ હતી. બાથરૃમની બારીમાંથી ચોર ઘરમાં ઘૂસી ગયો હતો. બાદમાં સોના, હીરા, ચાંદીના દાગીના, અન્ય કિંમતી વસ્તુઓ ઉપરાંત રોકડ રકમ વિદેશી ચલણની ચોરી આરોપી નાસી ગયો હતો.
અભિનેતાની ૮૨ વર્ષીય માતા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે અજાણ્યા ચોર વિરૃદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીને પકડવા છટકું ગોઠવ્યું હતું. બે દિવસની દેખરેખ પછી છેવટે મનોજને પકડવામાં આવ્યો હતો.
આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે તેમે ચોરી કરેલા અમૂક દાગીના એક ઝવેરી પાસે રાખ્યા હતા બાકીની વસ્તુઓ તેના ઘરે હતી. પોલીસે તેની પાસેથી ચોરીની રૃા.૧.૩૭ કરોડની માલમત્તા કબજે કરી છે.


