લીંબડીમાં
વાતાવરણમાં અચાનક પલટો આવતા
મંડપ
ધરાશાયી થતાં કેમ્પમાં આરામ કરતા બે પદયાત્રીને ઇજા ઃ ઘટનાથી અન્ય પદયાત્રીઓમાં
ભયનો માહોલ
સુરેન્દ્રનગર -
ચૈત્રી પૂનમ નિમિત્તે અમદાવાદ અને વડોદરા તરફથી ચોટીલા જઈ
રહેલા પદયાત્રીઓની સેવા માટે લીંબડી હાઈવે પર અનેક કેમ્પો કાર્યરત છે. લીંબડીના
છાલિયા તળાવ પાસે પદયાત્રીઓના આરામ અને જમવા માટે મંડપ બાંધીને સુવિધા ઊભી કરવામાં
આવી હતી.
જોકે, સાંજના સમયે અચાનક
વાતાવરણમાં પલટો આવતા અને ભારે પવન ફૂંકાતા આ મંડપનો આખોય માળખું તૂટી પડયું હતું.
આ ઘટના સમયે કેમ્પમાં ગાદલા પર આરામ કરી રહેલા બે પદયાત્રીઓ મંડપ નીચે દબાઈ ગયા
હતા, જેના કારણે તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક
સેવાભાવીઓએ તાત્કાલિક બચાવ કામગીરી કરી ઇજાગ્રસ્તોને લીંબડીની આર.આર. હોસ્પિટલ
ખાતે સારવાર અર્થે ખસેડયા હતા. અચાનક બનેલી આ ઘટનાથી કેમ્પમાં હાજર અન્ય
પદયાત્રીઓમાં ફફડાટ અને ભયનો માહોલ સર્જાયો હતો. વાવાઝોડા જેવા પવનને કારણે સેવા
કેમ્પના આયોજકોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. હાલ પોલીસ અને વહીવટી તંત્ર
દ્વારા આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.


