મીરા રોડની સોસાયટીમાં ગરબા મંડપ પર ઈંડાં ફેંકાતાં તંગદિલી

જે પી નોર્થ ગાર્ડન સોસાયટીમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો
મોડી રાત સુધી ગરબા અને ધ્વનિ પ્રદૂષણ મુદ્દે તકરાર કરનારા યુવક મોહસીન પર આરોપ સાથે ટોળાં પોલીસમથકે પહોંચતાં ગુનો દાખલ ઃ યુવકે આરોપ નકાર્યા
મુંબઈ - મીરા રોડ પર આવેલી એક બહુમાળી સોસાયટીમાં ગરબા રમાઈ રહ્યા હતા ત્યારે ગરબા મંડપર પર સોસાયટીના જ એક સભ્ય દ્વારા ઈંડા ફેંકવામાં આવતાં તંગદિલી સર્જાઈ હતી. સ્થાનિક રહીશોએ આ બાબતે ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું જણાવી કાશીગાંવ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આ સોસાયટી પરિસર તથા આજુબાજુમાં કોઈ અનિચ્છનિય ઘટના ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
મીરા રોડ પર જે પી નોર્થ ગાર્ડન સોસાયટી નામની એક બહુમાળી ઈમારતોની સોસાયટી છે. તેની એસ્ટેલા ઇમારતમાં સોસાયટીના પદાધિકારીઓએ નવરાત્રીનું આયોજન કર્યું હતું. રાત્રે સોસાયટી પરિસરમાં મોટી સંખ્યામાં નાગરિકો ગરબા રમવા આવે છે. દરમિયાન, મંગળવારે, સોસાયટીના સભ્ય મોહસીન ખાને ગરબા રમાતી વખત રાતે મોડે સુધી ગરબા રમાડી સમય મર્યાદાના નિયમોનો ભંગ થાય છે અને લાઉડસ્પીકર દ્વારા ધ્વનિ પ્રદૂષણ થાય છે તેવા મુદ્દા ઉઠાવી વાંધો લીધો હતો. જેના કારણે સોસાયટીના સભ્યો વચ્ચે અંદરોઅંદર તકરાર થઈ હતી.
આ વિવાદ દરમિયાન, કેટલાક લોકોએ મોહસીન પર ૧૬મા માળેથી ગરબા મંડપર પર ઇંડાં ફેંકવાનો આરોપ લગાવ્યો હતો. માતાજીના મંડપમાં ઈંડાં પડયાં હોવાની વાતે ધાર્મિક તંગદિલી સર્જાઈ હતી. એક દાવા અનુસાર ગરબા મંડપ પાસે બે મહિલા પોલીસ તૈનાત હતી તેમની નજીક જ આ ઈંડાં પડયાં હતાં. બનાવને પગલે બિલ્ડિંગ પરિસરમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. સોસાયટીના પદાધિકારી શ્રીમંત શિખરે આ સંદર્ભમાં કાશીગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં પોલીસ મથકે રજૂઆત માટે પહોંચ્યા હતા.
જોકે,મોહસીન ખાને દાવો કર્યો હતો કે મારા ફલેટ પર તો બર્ડ નેટ લગાવેલી છે આથી ઈંડા ફેંકવાની વાત ખોટી છે. પોતે આવું કોઈ કૃત્ય કર્યું નથી.
એથી કાશીગાંવ પોલીસે મોહસીન ખાન વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જોકે, હજુ પણ ઈંડા ફેંકવાની શંકા હોવાથી, આરોપીઓને નોટિસ જારી કરવામાં આવી છે, એમ પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ તોકડગાંવકરે જણાવ્યું હતું.
ભૂતકાળમાં બકરી લાવવા મુદ્દે વિવાદ થયો હતો
મીરા રોડ પર આવેલી જે.પી. ઇન્ફ્રા બિલ્ડિંગમાં, બકરી ઈદ પર મોહસીન ખાન નામનો વ્યક્તિ ઘરમાં બકરી લાવ્યો ત્યારે અગાઉ મોટો વિવાદ સર્જાયો હતો. તે સમયે, આ ઇમારત સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની હતી. હવે, નવરાત્રિ દરમિયાન ફરીથી ધામક વિવાદોને કારણે, ઈમારત પરિસરમાં તંગદિલી ફેલાઈ છે.








