Mumbai

રિડેવલપમેન્ટ માટે બિલ્ડર નક્કી કરવા ટેન્ડર ફરજિયાત નથીઃ હાઈકોર્ટ

By GS TEAM
14 Oct 20252 mins read
રિડેવલપમેન્ટ માટે બિલ્ડર નક્કી કરવા ટેન્ડર  ફરજિયાત નથીઃ હાઈકોર્ટ

સરકારનો જીઆર માર્ગદર્શક પ્રકારનો છે, ફરજિયાત નિયમ નથી

ગોરેગામની સોસાયટીમાં બહુમતી સભ્યોએ કરેલો નિર્ણય માન્ય ઠેરવ્યોઃ  ટેન્ડર જારી ન થવાથી કોઈ નિયમભંગ થતો નથી

મુંબઈ -  બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં પુનરોચ્ચાર કર્યો હતો કે સોસાયટીના પુનઃવિકાસ માટે ડેવલપર ફાઈનલ કરવા ે ટેન્ડર બહાર પાડવાનો આદેશ આપતો ૪ જુલાઈ, ૨૦૧૯ ના રોજ જારી કરાયેલ સરકારી ઠરાવ (જીઆર) ફરજિયાત નથી પરંતુ તે ડિરેક્ટરી (માર્ગદર્શક) સ્વરુપનો છે. ન્યાયાધીશ શ્યામ સુમન અને મંજુષા દેશપાંડેની ડિવિઝન બેન્ચે ઠરાવ્યું હતું કે ડેવલપરની નિમણૂક માટે ટેન્ડર ફ્લોટિંગ ન થવાનો અર્થ એ નથી કે કોઈ કાયદાના ઉદ્દેશ્યનું ઉલ્લંઘન થયું છે. 

 આ મુદ્દા પર હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓનો ઉલ્લેખ કરતા, તેમણે જણાવ્યું હતું કે, આ કોર્ટે એવો મત લીધો છે કે ૪ જુલાઈ, ૨૦૧૯ ના રોજનો જીઆર  ફરજિયાત નથી, પરંતુ  માર્ગદર્શક સ્વરુપનો  છે. 

આ બેન્ચ દેવેન્દ્ર કુમાર જૈન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમણે મુંબઈના ગોરેગાંવમાં આવેલી રામાનુજ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના પુનવકાસ માટે  ડેવલપરની નિમણૂકને પડકારી હતી. સોસાયટીના ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂકેલા અરજદારના મતે તેના નવા ચેરમેન હેઠળની સોસાયટીએ અન્ય ડેવલપર્સને પણ ટેન્ડર ન આપીને ૨૦૧૯ના જીઆરની જોગવાઈઓનો ભંગ કર્યો છે. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ નિર્ણય મનસ્વી અને ગેરકાયદેસર હતો કારણ કે ફરજિયાત જીઆરનું બિલકુલ પાલન કરવામાં આવ્યું ન હતું.  સોસાયટીએ દલીલ કરી હતી કે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું અને બેઠકમાં હાજર રહેલા ૭૭ સભ્યોમાંથી ૭૬ સભ્યોએ સંમતિ આપ્યા પછી જ ડેવલપરની નિમણૂક કરવામાં આવી હતી.

 સોસાયટીમાં કુલ ૮૩ સભ્યો છે જેમાંથી ફક્ત ૭૭ સભ્યો જ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બાબતને ધ્યાનમાં લેતા, ન્યાયાધીશોએ કહ્યું,  યોગ્ય રીતે બોલાવાયેલી બેઠકમાં લેવાયેલ બહુમતીનો નિર્ણય માન્ય રહેશે. આમ, આ કોર્ટ દ્વારા વ્યક્ત કરાયેલ સુસંગત દૃષ્ટિકોણને ધ્યાનમાં લેતા, અરજદાર દ્વારા કરવામાં આવેલી વિનંતીઓ જાળવી શકાય નહીં, કારણ કે પ્રતિવાદી નંબર-ફોર (ડેવલપર) ની નિમણૂક માટેનો નિર્ણય કાયદા અનુસાર બહુમતી દ્વારા લેવામાં આવ્યો છે અને તે પ્રતિવાદી નંબર-ટુ (ડેપ્યુટી રજિસ્ટ્રાર) ના અધિકૃત અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. અરજદાર દ્વારા દખલગીરીનો કોઈ કેસ બનાવવામાં આવતો નથી.