Mumbai

વસઈમાં અચાનક યલો જેકેટ માખીઓનો ઉપદ્રવઃ અનેક લોકોને ડંખ માર્યા

By GS TEAM
28 Jun 20253 mins read
વસઈમાં અચાનક  યલો જેકેટ માખીઓનો ઉપદ્રવઃ અનેક લોકોને ડંખ માર્યા

મ્યુનિ તંત્ર અને વન વિભાગે પણ હાથ  અદ્ધર કરી દીધા

તંત્ર પાસે આ માખીઓને કાબુમાં લેવાની દવા જ નથી - આક્રમક અને માંસાહારી હોવાનું જણાવી અંતર જાળવવા લોકોને ચેતવણી

મુંબઇ  -  વસઈના નાળે ગામમાં પીળા રંગની માખીઓ મળી આવી છે અને ગ્રામજનો આ માખીઓના ડંખથી ખૂબ જ પીડાઈ રહ્યા છે. શરૃઆતમાં ગ્રામજનોએ તેમને સામાન્ય મધમાખી સમજીને અને આ માખીઓના વધતા ઉપદ્રવને કારણે અવગણ્યા બાદ મ્યુનિસિપલના આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જો કે, આ માખી હોર્નેટ પ્રજાતિની પીળાં  જેકેટવાળી માખી હોવાનું બહાર આવ્યા બાદ મ્યુનિસિપલ વહીવટીતંત્ર અને વન વિભાગ બન્નેએ હાથ ઉપર કરી લીધા છે.

નાળે ગામમાં લાખોડી ખાતે રહેતા વિનાયક પાટીલના ઘરની નજીક એક જૂનું ભીંડાનું ઝાડ છે. ચાર દિવસ પહેલા, તેને આ ભીંડાના ઝાડના થડમાં માખીઓનો ઝુંડ જોવા મળ્યો હતો. તેમણે આ સાામાન્ય મધમાખી હોવાનું માની તેની અવગણના કરી હતી. જોકે, આ વૃક્ષ જાહેર માર્ગ પર આવેલું હોવાથી  મધમાખીઓ ઝાડ પાસેથી પસાર થતા ગ્રામજનોને ડંખ મારવા લાગી હતી. તેથી વિનાયક પાટીલે આખરે મ્યુનિસિપલ આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જ્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી, ત્યારે તેમણે હાથ ઉંચા કરી દીધા અને કહ્યું કે તેમની પાસે આવી માખીઓ પર છંટકાવ કરવા માટે દવા ઉપલબ્ધ નથી.  આરોગ્ય વિભાગ પાસે કોઈ ઉકેલ ન હોવાથી, નાલાસોપારા આચોલે ખાતે મ્યુનિસિપલ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જો કે, સામાન્ય મધમાખી જેવી દેખાતી આ માખી અલગ દેખાતી હોવાથી, મહાનગરપાલિકાએ કહ્યું કે તેમની પાસે આ માખીને નિયંત્રિત કરવાની કોઈ સુવિધા નથી. વિરારમાં સહ્યાદ્રી હનીના ડિરેક્ટર સંજીવ નાઈકનો સંપર્ક કરવામાં આવતાં તેમણે કહ્યું કે, આ માખી હોર્નેટ પ્રજાતિની છે અને તેને યલો જેકેટ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામજનોને માખી આક્રમક અને માંસાહારી હોવાનું કહીને તેનાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. સંજીવ નાઈકે કહ્યું છે કે,આ માખીઓના ઉપદ્રવને ખાસ પ્રકારનો શરીર ઢાંકતો યુનિફોર્મ પહેરીને અને તેના પર પ્રવાહી નાઇટ્રોજન અને પેટ્રોલનો છંટકાવ કરીને રોકી શકાય છે. ગયાં વર્ષે ૩૧મી ડિસેમ્બરે  યેઉરના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં ટ્રેકિંગ માટે ગયેલા બાળકો પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. આ એક જ પ્રજાતિની મધમાખીઓ છે.

વન ખાતાંને પણ જાણકારી કે તાલીમ નહિ

યેઉરના મુખ્ય વન અધિકારી કરિશ્મા  કવડે અને તુંગારેશ્વર વન રેન્જ અધિકારી રાજશ્રી પાલવેએ પણ કહ્યું છે કે તેમની પાસે યલો જેકેટ માખી બદલ માહિતી નથી. માંડવી ફોરેસ્ટ રેન્જ ઓફિસર રીટા વૈદ્યએ પણ પરિસ્થિતિને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેમને આ માખીઓને નિયંત્રિત કરવા માટે તાલીમ આપવામાં આવી નથી.

આવી બે પ્રકારની માખી 

હોર્નેટઅનયલો જેકેટબંને પ્રકારના જંતુઓ છે. તેમને સામાન્ય રીત ફ્લાય્સ અથવા ટ્વિસ્ટ પણ કહેવામાં આવે છે. યલોજેકેટ્સ ને ગ્રાઉન્ડ-નેસ્ટિંગ ભમરી તરીકે ઓળખવામાં આવે છે, અને હોર્નેટ્સ ને ગ્રાઉન્ડ-નેસ્ટિંગ ભમરી અથવા હોર્નેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. યલોજેકેટ્સ એ શિકારી ભમરી છે જે સમગ્ર ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. જર્મન પીળા જેકેટ્સ સૌપ્રથમ ૧૯૭૫માં ઓહાયોમાં જોવા મળ્યા હતા અને હવે તે રાજ્યમાં મુખ્ય પ્રજાતિ છે.