રાજ્યના સૌથી વયોવૃદ્ધ વિઠાબાઈનું 114 વર્ષે કોપરીમાં અવસાન

5
પેઢીના સાક્ષીદારની વિદાય
શતાયુ
માજીની અંતિમયાત્રા ભજનમંડળ,
બ્રાસ બેન્ડ અને ફટાકડાંના નાદધ્વનિ સાથે નીકાળાઈ
મુંબઇ -
મહારાષ્ટ્રના સૌથી વયોવૃદ્ધ મનાતાં વિઠાબાઈ દામોદર પાટીલનું
શનિવારે સવારે ૬ વાગ્યે ૧૧૪ વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે તેમની હયાતીમાં
પાંચ પેઢીઓનાં સંગોપન થતાં, તેમનામાં આવતાં બદલાવો અને
સંસ્કૃતિનું રુપાંતર થતાં જોયાં છે.
દરવર્ષે
લાકડી લઈ મતદાન કેન્દ્રમાં મત આપવા પહોંચી જતાં આ માજી લોકશાહીના સંસ્કારના જીવંત
આદર્શ હતાં. તેમને જોવા માટે મતદારો પણ લાઈનમાં રાહ જોતાં. પત્રકારોએ પણ દરવર્ષે
તેમને બિરદાવ્યાં હતાં. દેશ બદલાયો,
સરકારો બદલાઈ પણ તેમનો મતદાનનો નિશ્ચય ક્યારેય બદલાયો નહોતો.
વિઠાબાઈનો
જન્મ ૧૯૧૧માં શિળગાંવ (કલ્યાણ)માં થયો હતો. લગ્ન બાદ તેઓ કોપરી ગામમાં સ્થાયી થયા
હતા. જીવનભર આગરી-કોળી પરંપરાનાં મૂલ્ય,
કષ્ટ અને માટી સાથે પોતાની નાળ જોડી રાખી હતી. તેમણે છ દીકરા,
છ વહુઓ અને પૌત્રો, પ્રપોત્રોનો વિસ્તરતો
પરિવાર જોયો. આજે સવારે કોપરી સ્મશાનભૂમિમાં તેમનાં અંતિમ સંસ્કાર દરમ્યાન શતાયુ
માજીના આદર માટે ભજન મંડળ, બ્રાસ બેન્ડ અને ફટાકડાં સાથે
અંતિમયાત્રા નીકાળાઈ હતી.








