Mumbai

સ્પાઈસજેટનું પૈડું નીકળી ગયા પછી મુંબઈમાં સુરક્ષિત લેન્ડિંગ

By GS TEAM
13 Sep 20252 mins read
સ્પાઈસજેટનું પૈડું નીકળી ગયા પછી મુંબઈમાં સુરક્ષિત લેન્ડિંગ

કંડલાથી ઉડાન ભરેલા વિમાનમાં મોટો અકસ્માત ટળ્યો

એટીસી, પાયલટો અને એરપોર્ટની ગ્રાઉન્ડ  ટીમની સમયસૂચકતાને કારણે ૭૫ પ્રવાસીઓ સુરક્ષિત રહ્યા

મુંબઈ -  શુક્રવારે ગુજરાતના કંડલાથી ૭૫ મુસાફરો સાથે સ્પાઈસજેટ બોમ્બાડયર ક્યુ૪૦૦ વિમાને ઉડાન ભર્યાના થોડા સમય પછી જ તેનું એક પૈડું ગુમાવી દીધું, જેના કારણે હવામાં ભયનો માહોલ સર્જાયો. કંડલા એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)એ વિમાનમાંથી એક વસ્તુ પડતી જોઈ ત્યારે વિમાન પહેલાથી જ હવામાં હતું. એટીસી ટીમે પાછળથી રનવે પરથી ગુમ થયેલ વ્હીલ અને મેટલ રિંગ્સ શોધી કાઢયા.

આ શોધ પછી, એટીસીએ તાત્કાલિક પાયલટોને ચેતવણી આપી અને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (સીએસએમઆઈએ) પર પૂર્ણ સ્તરની કટોકટી જાહેર કરવામાં આવી. વિમાને તેની મુસાફરી ચાલુ રાખી ત્યારે ફાયર ટેન્ડર અને બચાવ ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. બપોરે ૩ઃ૫૧ કલાકે, વિમાને રનવે ૨૭ પર સુરક્ષિત ઈમરજન્સી ઉતરાણ કર્યું.

એરપોર્ટ અધિકારીઓએ પુષ્ટિ કરી કે ગંભીર ટેકનિકલ સમસ્યા હોવા છતાં, વિમાન પોતાની મેળે ટમનલ તરફ રવાના થયું અને મુસાફરો કોઈ પણ અનિચ્છનીય બનાવ વિના નીચે ઉતરી ગયા. સ્પાઈસજેટના પ્રવક્તાએ પાછળથી જણાવ્યું કે લેન્ડિંગ સરળ રહ્યું અને તમામ ૭૫ પ્રવાસીઓ સુરક્ષિત છે.

એરલાઈનના એક ભૂતપૂર્વ અધિકારીએ ખુલાસો કર્યો કે કંડલા પાછા ફરવાને બદલે મુંબઈમાં ઉતરાણ કરવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો કારણ કે આવી પરિસ્થિતિઓમાં મુંબઈનો લાંબો રનવે સુરક્ષિત વિકલ્પ પૂરો પાડે છે. ઉડ્ડયન નિષ્ણાતોએ પરિસ્થિતિની ગંભીરતા પર ભાર મૂક્યો હતો, અને નોંધ્યું હતું કે એક વ્હીલ વિમાનમાંથી અલગ થઈ જાય, તો વધુ નિષ્ફળતાનું જોખમ રહેલું હતું.

સીએસએમઆઈએએ તેના સત્તાવાર નિવેદનમાં પુષ્ટિ કરી કે કટોકટી ફક્ત સાવચેતી તરીકે જાહેર કરવામાં આવી હતી. સદનસીબે, કોઈ ઈજાના અહેવાલ નથી, અને એટીસી, પાઇયલટો તેમજ ગ્રાઉન્ડ ટીમો વચ્ચે ઝડપી સંકલનથી મુસાફરોની સલામતી સુનિશ્ચિત થઈ શકી.

આ ઘટનાએ ફરી એકવાર વિમાન જાળવણી અને સલામતી પ્રોટોકોલ તરફ ધ્યાન દોર્યું છે, જે દર્શાવે છે કે કેવી રીતે તૈયારી અને ઝડપી કાર્યવાહી ઉડ્ડયનમાં સંભવિત આપત્તિઓને અટકાવી શકે છે.