Mumbai

60 કરોડની ઠગાઈના કેસમાં શિલ્પા શેટ્ટીની ઘરે 4 કલાક પૂછપરછ

By GS TEAM
8 Oct 20253 mins read
60 કરોડની ઠગાઈના કેસમાં શિલ્પા શેટ્ટીની ઘરે 4 કલાક પૂછપરછ

મુંબઈ પોલીસની ટીમ શિલ્પાના ઘરે પહોંચી

પૂછપરછમાં શિલ્પાનો દાવોઃ પોતે સંબંધિત કંપનીની કામગીરી જોતી નથીઃ સેલિબ્રિટી અપિરયન્સ માટે પૈસા ચૂકવાયા હતા

મુંબઈ -  શિલ્પા શેટ્ટી અને રાજ  કુન્દ્રા સામે નોંધાયેલા ૬૦ કરોડ રુપિયાની છેતરપિંડના કેસમાં મુંબઈ પોલીસની એક ટીમ શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી હતી અને ચાર કલાક સુધી તેની પૂછપરછ કરી તેનું નિવેદન લીીધું હતું. શિલ્પાએ આ પૂછપરછમાં એવો દાવો કર્યો હોવાનું કહેવાય છે કે સંબંધિત કંપનીનું રોજબરોજનું કામકોજ તે જોતી ન હતી. 

મુંબઈ પોલીસની આથક ગુના શાખાની એક ટીમે ચોથી ઓક્ટોબરના રોજ અભિનેત્રીના નિવાસસ્થાને તેનું નિવેદન નોંધ્યું હતું અને ચાર કલાકથી વધુ સમય સુધી તેની પૂછપરછ કરી હતી.અભિનેત્રીએ પોતાના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે તે ફડચામાં ગયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડની કામગીરી પર નજર રાખતી નથી.

 શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્રા હોમ શોપિંગ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે અભિનેત્રીએ પોતાનું નિવેદન નોંધતી વખતે પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને સહાયક દસ્તાવેજો રજૂ કર્યા હતા.પોલીસ અભિનેત્રી દ્વારા પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે.

શેટ્ટીએ કહ્યું કે તે કંપનીના કામકાજ પર નજર રાખતી નથી. તેને પ્લેટફોર્મ (બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ) પર હાજરી આપવા  બદલ સેલિબ્રિટી અપિરયન્સ ફી ચૂકવવામાં આવતી હતી,એમ અધિકારીએ જણાવ્યું હતું.  આથક ગુના શાખાએ અગાઉ તેની તપાસના ભાગ રૃપે કુન્દ્રાનું નિવેદન નોંધ્યું હતું .અભિનેત્રી અને તેના પતિ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યું હતું.   આ કેસના સંદર્ભમાં આથક ગુના શાખા દ્વારા કુન્દ્રા (ઉ.વ.૫૦)ની પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.મીડિયાની નજરથી બચવા માટે તેમનું નિવેદન કોઈ ગુપ્ત સ્થળે નોંધવામાં આવ્યું હતું.

  ફરિયાદી દીપક કોઠારીના જણાવ્યા મુજબ તે રાજેશ આર્ય દ્વારા કુન્દ્રા અને  શિલ્પા શેટ્ટીના સંપર્કમાં આવ્યો હતો.દંપતીએ રૃ.૭૫ કરોડની લોન માંગી હતી, પરંતુ ઊંચા કરવેરાથી બચવા માટે તેને રોકાણ તરીકે દર્શાવ્યું હતું.બનેએ  માસિક રિટર્ન અને મૂળ રકમ ચૂકવવાનું પણ વચન આપ્યું હતું.

   એફઆઈઆર મુજબ ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેણે એપ્રિલ ૨૦૧૫માં શેર સબસ્ક્રિપ્શન કરાર હેઠળ રૃ.૩૧.૯   કરોડ ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૧૫માં પૂરક કરાર હેઠળ બીજા રૃ.૨૮.૫૩ કરોડની ચુકવણી કરી હતી.

    એપ્રિલ ૨૦૧૬માં વ્યક્તિગત ગેરંટી આપવા છતાં શેટ્ટીએ તે વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, કોઠારીને પાછળથી જાણવા મળ્યું કે ૨૦૧૭માં કંપની સામે બીજા કરારમાં ડિફોલ્ટ થવા બદલ નાદારીની કાર્યવાહી ચાલી રહી હતી.   કોઠારીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેમણે વ્યવસાય માટે લોન આપી હતી.પરંતુ આરોપીઓ દ્વારા આ પૈસાનો  કથિત રીતે અંગત ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    છેવટે  કોઠારીએ અભિનેત્રી, તેના પતિ અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ માટે  મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો.જેના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. 

      ત્યારબાદ શેટ્ટી અને કુન્દ્રાના વકીલ દ્વારા કેસના સંદર્ભમાં એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે આ એક દિવાની પ્રકારનો કેસ છે અને તેના તમામ આરોપોને અમે નકારીએ છીએ આ કેસમાં ૪  ઓક્ટોબર,૨૦૨૪ના રોજ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ,મુંબઈ દ્વારા ચુકાદા અપાઈ ચૂક્યો છે.