વિધાન પરિષદમાં ધમાલ બાદ ઉપાધ્યક્ષનો નિર્ણય
સાથી પક્ષો ભાજપ અને શિવસેના વચ્ચેની તકરારમાં એસપી તુષાર દોશીનો ભોગ લેવાયો
મુંબઈ - સતારા જિલ્લા પરિષદ પ્રમુખની ચૂંટણી દરમિયાન થયેલા હોબાળા અને મારામારીના મુદ્દે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં આજે ભારે રાજકીય ગરમાગરમી બાદ ઉપાધ્યક્ષ નીલમ ગોર્હેએ સતારાના જિલ્લા પોલીસ વડા તુષાર દોશીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
શિંદે શિવસેનાના મંત્રી શંભુરાજ દેસાઈ અને એનસીપી(એપી)ના મકરંદ પાટીલ સહિતના સભ્યોએ જિલ્લા પરિષદની ચૂંટણી વખતે પોલીસે તેમની સાથે મારપીટ કરી હોવાનો આક્ષેપ મૂકી એસપીના સસ્પેન્શનની માંગ કરી હતી.
વિધાન પરિષદની કાર્યવાહી શરૃ થાય તે પહેલાં જ આ મુદ્દે ચર્ચા કરવા ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. શિવસેનાના હેમંત પાટીલએ મુદ્દો ઉઠાવીને જણાવ્યું કે દેસાઈ, મકરંદ પાટીલ અને એનસીપીના શશિકાંત શિંદે સાથે પોલીસે દુર્વ્યવહાર કર્યો હતો.
ઉપાધ્યક્ષ નીલમ ગોર્હેએે જણાવ્યું કે સરકારે તત્કાળ તપાસ કરવી જોઈતી હતી અને આ મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાં જરુરી બન્યાં છે.
આ મુદ્દે શિવસેના, એનસીપી અને ભાજપના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આ ઘટનાક્રમને પગલે ભાજપ તથા શિંદે સેના વચ્ચેના મતભેદો સપાટી પર આવી ગયા છે.


