Mumbai

સમીર વાનખેડેનો રેડ ચીલીઝ અને નેટફલિક્સ સામે 2 કરોડ રૃપિયાનો બદનક્ષીનો દાવો

By GS TEAM
9 Oct 20252 mins read
સમીર વાનખેડેનો રેડ ચીલીઝ અને નેટફલિક્સ સામે 2 કરોડ રૃપિયાનો બદનક્ષીનો દાવો

બા.ડઝ ઓફ બોલિવૂડમાં પોતાની બદનક્ષી કરાઇ હોવાનો સમીર વાનખેડેનો દાવો 

દિલ્હી હાઇકોર્ટે સાત દિવસમાં બંને કંપનીઓને તેમના જવાબ નોંધાવવા જણાવ્યું,  વધુ સુનાવણી ૩૦ ઓક્ટોબરે 

નેટફલિક્સ પર રજૂ થયેલી આર્યન ખાન દ્વારા નિર્દેશિત વેબ સિરિઝ બા..ડઝ ઓફ બોલિવૂડમાં તેની પેરોડી કરી તેની બદનામી કરવામાં આવીનું જણાવી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-એનસીબીના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેએ શાહરૃખખાનની કંપની રેડ ચીલીઝ તથા નેટફલિક્સ પર દિલ્હી હાઇકોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો છે. હાઇકોર્ટે બુધવારે રેડ ચિલિઝ એન્ટરટેઇનમેન્ટ અને નેટફલિક્સને સમન્સ જારી કરી સાત દિવસમાં જવાબ આપવા જણાવ્યું હતું. હવે આ કેસની વધુ સુનાવણી ૩૦ ઓક્ટોબરે કરવામાં આવશે. 

બા..ડઝ ઓફ બોલિવૂડમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગની પેરોડી કરવામાં આવી છે. તેના પહેલાં એપિસોડમાં પાર્ટીની બહાર મારીજુઆના પીનારની બાજુમાં ઉભાં રહેવા બદલ એક એક્ટરની એક અધિકારી દ્વારા ધરપકડ થતી બતાવવામાં આવી છે. દર્શકો સમજી શકે છે કે ધરપકડ કરનાર અધિકારીનો દેખાવ વાનખેડેને મળતો આવે છે. વાનખેડેએ ૨૦૨૧માં ડ્રગ્સ ધરાવવા બદલ આર્યન ખાનની ધરપકડ કરી હતી. એ પછી આર્યન પરથી તમામ આરોપો દૂર થયા હતા પણ વાનખેડે હાલ તપાસ હેઠળ છે. 

વાનખેડેના વકીલે જણાવ્યું હતું કે  સિરિઝ અધિકારીનું નકારાત્મક ચિત્રણ કરવામાં આવ્યું હોઇ વાનખેડે, તેમની પત્ની તથા તેમની બહેનને ઓનલાઇન ટ્રોલ કરી તેમના માટે બદનક્ષી ભરી અને આઘાતજનક પોસ્ટ ઓનલાઇન મુકવામાં આવી હતી. જો કે, અદાલતે આ પોસ્ટ દૂર કરવા જણાવતો વચગાળાનો આદેશ આપવાની ના પાડી હતી. અગાઉ ૨૬ સપ્ટેમ્બરે હાઇકોર્ટે વાનખેડેને  તેમની અરજી સુધારી ફરી કેસ કરવા જણાવ્યું હતું જેને પગલે સમીર વાનખેડેએ અરજીમાં સુધારો કરી તેને ફરી હાઇકોર્ટમાં રજૂ કરી હતી. 

વાનખેડેએ તેમના દાવામાં આક્ષેપ કર્યો છે કે આ સિરિઝમાં ડ્રગ વિરોધી એજન્સીઓનું ગેરમાર્ગે દોરનારું ચિત્રણ કરવામાં આવ્યું છે. જેથી લોકોનો તેમનામાં રહેલો વિશ્વાસને અસર થઇ રહી છે. ખોટા, બદઇરાદાભર્યા અને બદનામી કરનારા વિડિયોને કારણે હાનિ થઇ હોવાથી વાનખેડેએ પ્રોડકશન હાઉસ રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ., નેટફ્લિક્સ અને અન્યો પાસે નુકશાની માંગી છે. રેડ ચિલીઝ દ્વારા આ શો પ્રોડયુસ કરવામાં આવ્યો છે જેના દ્વારા આર્યનખાને ફિલ્મમેકિંગના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. 

વાનખેડેએ અન્ય એક સીનમાં જે દર્શાવવામાં આવ્યું છે તેમાં પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટસ ટુ નેશનલ ઓનર એક્ટ ૧૯૭૧નું ઉલ્લઘંન થયું હોવાથી તેના માટે સજા થવી જોઇએ તેવી રજૂઆત પણ કરી હતી. સમીર વાનખેડેએ નુકશાની પેટે બે કરોડ રૃપિયાની રકમ માંગી છે જે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલને કેન્સરના દર્દીઓની સારવાર માટે દાનમાં આપવામાં આવશે.