બિલ્ડર અને ખરીદનારને એક ત્રાજવે ન તોલી શકાય
3કરોડથી વધુના ફલેટનો દસ વર્ષ પછી પણ કબ્જો નહિ મળતાં વિવાદમાં હાઈકોર્ટનો ચુકાદો
મુંબઈ - મિલ્કત ખરીદનારની આર્થિક ક્ષમતા હંમેશાં બિલ્ડર કરતાં ઓછી હોય છે આથી બિલ્ડર તથા ખરીદકર્તાને એક ત્રાજવે તોલી શકાય નહિ એવુું અવલોકન કરતાં, હાઈકોર્ટે એક દાયકાથી વધુ સમયથી વિલંબિત પ્રોજેક્ટ અંગેના વિવાદમાં બિલ્ડર દ્વારા જમા કરાયેલી રકમ ઉપાડવાની મંજૂરી ફ્લેટ ખરીદનારને આપી હતી.
હાઈકોર્ટે સોમવારે ચુકાદો આપ્યો હતો કે રેરાની જોગવાઈઓ અપીલ ટ્રિબ્યુનલને અપીલ પેન્ડિંગ હોય તે દરમિયાન બિલ્ડર દ્વારા જમા કરાયેલી રકમ ઉપાડવા માટે યોગ્ય કેસમાં તેના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાથી બાકાત રાખતી નથી. વિવેકબુદ્ધિ દરેક કેસના તથ્યો પર આધાર રાખે છે, હાઈકોર્ટે સ્પષ્ટતા કરી અને સામાન્ય પરિબળો નક્કી કર્યા હતા જેને ધ્યાનમાં લેવાશે, જેમાં પ્રોજેક્ટમાં વિલંબને કારણે ખરીદનાર દ્વારા ચૂકવવામાં આવેલી રકમ અંગેના કોઈપણ વિવાદનો સમાવેશ થાય છે જેના રિફંડનો આદેશ આપવામાં આવ્યો છે.
બિલ્ડરે રેરા એપેલેટ ટ્રિબ્યુનલના આદેશને પડકારવા માટે હાઇકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી હતી, જેમાં ખરીદનારને તેની અપીલ પેન્ડિંગ દરમિયાન ડિપોઝિટમાંથી ઉપાડ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. બિલ્ડરે સૌપ્રથમ સપ્ટેમ્બર ૨૦૨૫ ના મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (મહારેરા) ના આદેશ સામે અપીલ દાખલ કરી હતી, જેમાં ફ્લેટ એલોટી મિતુલ ગડા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર તેને બિલ્ડર - રેર ટાઉનશીપ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલી પ્રી-ડિપોઝિટ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી હતી.
રાજ્યના રેરા એપેલેટ ટ્રિબ્યુનલે બિલ્ડરને તેની અપીલ સાંભળવા માટે પ્રી-ડિપોઝીટ કરવાની ફરજ પાડી હતી, જાન્યુઆરી ૨૦૨૬ માં ખરીદનારને રકમ ઉપાડવાની મંજૂરી આપી અને આમ બિલ્ડરને હાઇકોર્ટમાં દોડી જવા માટે પ્રેરિત કર્યા હતા. ૨૦૧૫માં ગડાએ રેર ટાઉનશીપ્સ દ્વારા વિકસાવવામાં આવી રહેલા નોર્થ સી હાઇટ્સ (એ૧) નામના પ્રોજેક્ટના ૧૫મા માળ પરના બે ફ્લેટ ૩ કરોડ રૃપિયાથી વધુ કિંમતે બુક કરાવ્યા હતા. ડિલિવરી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ ના રોજ થવાની હતી. તેણે લગભગ બે કરોડ રૃપિયા ચૂકવી દીધા. કબજો લેવામાં વિલંબ થયો હોવાથી, ખરીદદારે મહારેરા સમક્ષ ફરિયાદ કરી અને રેરાની કલમ ૧૮ હેઠળ વ્યાજ અને વળતર સાથે રિફંડ માંગ્યું. માર્ચ ૨૦૨૧માં, મહારેરાએ વ્યાજ સાથે રિફંડનો આદેશ આપ્યો હતો. ૩૦ માર્ચના રોજ, ન્યાયાધીશ એન.જે. જમાદારે અવલોકન કર્યું હતું કે એલોટી માટે કોઈ સાંત્વના નથી કે જે રકમ પરત કરવાનો આદેશ અપાયો છે તે સુરક્ષિત રીતે ડિપોઝિટમાં રાખવામાં આવે. રકમ મુક્ત કરવામાં આવશે તો એલોટીને નાણાંકીય મુશ્કેલીઓમાંથી રાહત મળશે.


