રેરામાં નોંધણી કરાવવાથી ગેરકાયદે બિલ્ડિંગ કાયદેસર બનતું નથી - હાઇકોર્ટ
ડોમ્બિવલીની ગેરકાયદે ઇમારતા સંબંધી અરજી પર સુનાવણી
ડેવેલપર અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વળતરનો દાવો કરવાની અરજદારને સલાહ
મુંબઈ - બિનઅધિકૃત બિલ્ડિંગની રેરામાં નોંધણી કરાવવાથી કાયદેસર બનતું નથી તેમ કહીને બોમ્બે હાઇકોર્ટે એક બિલ્ડિંગના રહેવાસીઓને રાહત આપવા ઇન્કાર કર્યો હતો. ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને રેરાનું રજિસ્ટ્રેશન મેળવવામાં આવ્યું હતું. બિલ્ડિંગના રહેવાસીઓએ વળતર માટે ડેવેલપર અને કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે વળતર માટે કેસ કરવો જોઈએ તેવું સુચન હાઇકોર્ટે આપ્યું હતું.
કોર્ટે અરજદારોને સલાહ આપી હતી કે 'તમારે ડેવેલપરની પ્રોપર્ટી પર ટાંચ મૂકવા અરજી કરવી જોઈએ. ફોજદારી કાર્યવાહીની પ્રક્રિયા શરૃ કરો. તેમને જેલમાં જવા દો. ઈડીને તપાસ શરૃ કરવા દો. જે થઈ ગયું છે તે બદલી નહીં શકાય તેવું સ્વીકારો નહીં.'
જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ આરીફ ડોક્ટરની બેન્ચે ેક ઇમારતનો સોસાયટી અને ૨૮ રહેવાસીઓની અરજી સંબંધમાં અવલોકનો કર્યા હતા. બિલ્ડિંગને નિયમિત કરવા અરજદારોએ હાઇકોર્ટમાં પીટિશન કરી હતી. ઇમારતની સોસાયટી વતી હાજર રહેલા એડવોકેટે રજૂઆત કરી હતી કે બિલ્ડિંગ રેરામાં નોંધાયેલું હતું અને તેમણે નેશનલાઇઝ્ડ બેન્કો પાસેથી લોન લીધી હતી. 'ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ' (એફએસઆઇ) પણ યાથાવતહતી તેવો દાવો પીટિશનમાં કરાયો હતો. કોર્ટે કહ્યું કે 'આ તમારી અને ડેવેલપર વચ્ચેનો મામલો છે. વળતર માટે ડેવેલપર પર કેસ કરી રેરામાં રજિસ્ટ્રેશન કરાવવાથી બિલ્ડિંગ કાયેદસરનું બની જતું નથી. બાંધકામ ગેરકાયદેસર છે.
બેન્ચે કહ્યું હતું કે 'અમને તમારા માટે ખેદ થઈ રહ્યો છે, પણ શું કરી શકાય? ડેવેલોપર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને કોર્ટમાં લઈ જાવ. તેમના પર કરોડોનો દાવો માંડો ઉદાહરણ સ્થાપિત કરો આવું બંધ થવું જોઈએ. મ્યુનિસિપાલિટીના આ અધિકારીઓ એક દિવસ પણ નોકરી પર રહેવા લાયક નથી.'
મ્યુનિસિપલ અધિકારીઓના સહકાર વગર ગેરકાયદેસર બાંધકામો કવચિત જ બની શકે છે. તેવું અવલોકન બેન્ચે કર્યું હતું. 'શું મહાનગરપાલિકાનો કોઈ અધિકારી (ગેરકાયદેસર બાંધકામો) માટે જવાબદાર ગણાયો છે? આ બધુ તેમના આશીર્વાદથી જ થઈ શકે છે. કોઈ પણ નગરપાલિકા આમાં અપવાદ નથી.'
એક પીઆઇએલ સંદર્ભમાં હાઇકોર્ટે નવેમ્બર ૨૦૨૪માં ઓર્ડર આપ્યો હતો તે સંબંધમાં કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન ૬૫ ગેરકાયદેસર બિલ્ડિંગોનું ડિમોલિશન શરૃ કર્યું છે.
ડિમોલિશન ચાલું રહેવું જોઈએ તેવું હાઇકોર્ટે કહ્યું હતું. હાઇકોર્ટે કહ્યું હતું કે 'બિલ્ડિંગના ડિમોલિશન પછી સોસાયટી નહીં રહેશે, પણ જમીનમાં તમારો કાયદેસરનો અધિકાર રહેશે. ડેવેલોપરની પ્રોપર્ટી પર ટાંચ મૂકવાની અરજી કરો.' જમીન માલિકને પણ પ્રતિવાદી તરીકે ઉમેરો તેવા નિર્દેશ કોર્ટ અરજદારીને આપ્યા હતા. ઈડીના એડવોકેટને બેન્ચે તપાસનો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે 'તમારી ઓફિસે શું કર્યું તે અમને જણાવો.'
બેન્ચે કહ્યું હતું કે 'ડિમોલિશનનો આદેશ આપવો સહેલો છે, પણ ફ્લેટ ખરીદનારાઓએ તેમના મહેનતના નાણાં રોક્યા છે તેનું શું છે?'