મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ
અન્ય બે ભારતીય નાગરિકો ગુમ થયા હોવાનો અહેવાલ
મુંબઈ: રેમન્ડ ગુ્રપના ચેરમેન ગૌતમ સિંઘાનિયા મોલદિવ્સમાં સ્પીડબોટ પલટી થતાં ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. નજીવી ઈજા સાથે સિંઘાનિયાને મુંબઈમાં પરત લાવવામાં આવ્યા હોવાનું તેમના પ્રવક્તાએ જણાવ્યું હતું.
ગૌતમ સિંઘાનિયાને દુર્ભાગ્ય પૂર્ણ અકસ્માતમાં નજીવી ઈજાઓ થઈ છે. મુંબઈમાં તેમને યોગ્ય સારવાર અપાઈ રહી છે, એમ પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું. અહેવાલો અનુસાર સાત પ્રવાસીઓ સ્પીડબોટ પર હતા જેમાં એક બ્રિટીશ નાગરિક અને એક રશિયન નાગરિક તથા ભારતના પાંચ પુરુષોનો સમાવેશ હતો. શુક્રવારે સ્થાનિક સમય ૧.૧૫ મધરાત્રે વાવુ અટોલમાં આવેલા વી ફેલિધૂ ટાપુ પાસે તેમની બોટ પલટી થઈ ગઈ હતી. રેલી ડ્રાઈવર હરી સિંહ સહિત બે ભારતીય પુરુષો ગુમ થયા હોવાનું કહેવાય છે,જ્યારે ત્રણને ઈજાઓ થઈ હતી. મોલદિવ્સના કોસ્ટ ગાર્ડની ટીમ ગુમ લોકોની શોધ કરી રહી છે.


