Mumbai

રમાબાઈ એપા. દુર્ઘટનામાં આસિ. મ્યુ. કમિશનર સામે ગુનો દાખલ

By GS TEAM
31 Oct 20252 mins read
રમાબાઈ એપા. દુર્ઘટનામાં આસિ. મ્યુ. કમિશનર સામે ગુનો દાખલ

વિરાર  બિલ્ડિંગ દુર્ઘટનામાં નવો વળાંક 

ગિલ્સન ગોન્સાલ્વિસે નોટિસ મોકલી પણ પછી ઈમારત ખાલી ન કરાવી

મુંબઈ -  વિરાર ઈસ્ટમાં અનધિકૃત ઇમારત રમાબાઈ એપાર્ટમેન્ટ્ ધરાશાયી થવાથી ૧૭ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા  હતા. બે માસ બાદ  હવે નવો વળાંક આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૩ એ આ ઘટનાની તપાસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ કમિટી (સી) ના આસિસ્ટન્ટ કમિશનર ગિલસન ગોન્સાલ્વિસ સામે જ ગુનો નોંધ્યો છે.

વિરાર-ઈસ્ટના વિજયનગર વિસ્તારમાં સ્થિત ૪ માળની ઇમારત, રમાબાઈ એપાર્ટમેન્ટ, ૨૬ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં ૧૭ લોકોનાં મૃત્યુ થયા હતા. જ્યારે ૯ લોકો જખમી થયા હતા. 

 રમાબાઈ એપાર્ટમેન્ટ ૪ માળની અનધિકૃત ઇમારત હતી. તેમાં ૫૦ ફ્લેટ હતા. જો કે, આ ઇમારત થોડા જ વર્ષોમાં જર્જરિત થઈ ગઈ હતી. ડેવલપરે બિલ્ડિંગના રહેવાસીઓને ગેરમાર્ગે દોર્યા હતા અને બિલ્ડિંગને સત્તાવાર હોવાનું ઢોંગ કર્યો હતો. આ કારણે, રહેવાસીઓ કર ચૂકવી રહ્યા હતા. આ દુર્ઘટના પછી, પોલીસે બિલ્ડર નીતલ સાને અને જમીન માલિક સહિત પાંચ અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો.

         આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસ કમિશનર નિકેત કૌશિકે કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૩ ને સોંપી છે. અત્યાર સુધીમાં, પોલીસે આ કેસમાં ડેવલપર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમાંથી ચારને જામીન આપવામાં આવ્યા છે, જ્યારે ડેવલપર નીતલ સાને (૪૮) હજુ પણ જેલમાં છે. આ કેસની તપાસ કરતી વખતે, ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૩ એ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન, વોર્ડ (સી) ના આસિસ્ટન્ટ કમિશનર ગિલસન ગોન્સાલ્વિસ સામે વિવિધ કલમો હેઠળ બેદરકારી બદલ કેસ નોંધ્યો છે. પોતે મ્યુનિસિપલ અધિકારી સામે કેસ નોંધાયા બાદ ખળભળાટ મચી ગયો છે.

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે, મે ૨૦૨૫ માં ઇમારત જર્જરિત થયા પછી આસિસ્ટન્ટ કમિશનર ગિલસન ગોન્સાલ્વિસે ઇમારતને નોટિસ મોકલી હતી. પરંતુ, તે જ સમયે ઇમારત ખાલી કરાવવામાં ન આવી અને ડેવલપર સામે  એમઆરટીપી હેઠળ કેસ કેમ નોંધવામાં ન આવ્યો? જો તે જ સમયે ઇમારત ખાલી કરવામાં આવી હોત, તો ૧૭ લોકોના જીવ બચી શક્યા હોત. જોકે, આ કેસમાં ગોંઝાલ્વીસની બેદરકારી સાબિત થયા બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે.

     ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૩ એ આ સમગ્ર કેસમાં પુરાવા અને નિવેદનોના આધારે કોર્ટમાં ચાર હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં અન્ય મ્યુનિસિપલ અધિકારીઓની તપાસ ચાલી રહી છે અને જો તેઓ દોષિત ઠરશે તો તેમની સામે કેસ નોંધવામાં આવશે, એમ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શાહુરાજ રણવરેએ જણાવ્યું હતું.