તુ મેરી, મૈ તેરા ફિલ્મમાં ગીતની બેઠી ઉઠાંતરી કરી
આ ગીતનો કે તેની ટયુનનો ફિલ્મમાં રિમિક્સ કે અન્ય કોઈ રીતે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવાની પણ હાઈકોર્ટમાં માગણી
મુંબઈ - કરણ જોહરે તેની કાર્તિક આર્યન તથા અનન્યા પાંડેની મુખ્ય ભૂમિકા ધરાવતી આગામી ફિલ્મ 'તુ મેરી મૈ તેરા, મૈ તેરા તુ મેરી'માં ૧૯૯૨માં રજૂ થયેલી 'વિશ્વાત્મા' ફિલ્મનું ગીત 'સાત સમુંદર પાર...' બેઠું ઉઠાવી લેતાં 'વિશ્વાત્મા'નાં સર્જક રાજીવ રાયની કંપની ત્રિમૂર્તિ ફિલ્મ્સએ કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ સામે બોમ્બે હાઈકોર્ટમાં કોપીરાઈટ ભંગનો કેસ કરી ૧૦ કરોડનું વળતર માગ્યું છે. સાથે સાથે આ ફિલ્મમાં રિમિક્સ કે અન્ય કોઈપણ પ્રકારે આ ગીત કે તેની ટયુન વાપરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી માગણી પણ કરી છે.
હજુ થોડા દિવસો પહેલાં જ રાજીવ રાયે એક નિવેદનમાં કરણ જોહર દ્વારા કરાયેલી ઉઠાંતરી સામે વિરોધ નોંધાવ્યો હતો. તેણે કહ્યું હતું કે કરણ જોહર આમ બેઠું ગીત ઉઠાવી શકે નહિ, તેણે મારી મંજૂરી લેવી જોઈતી હતી.
કેસમાં ધર્મા પ્રોડક્શન અને નમહ ર્ક્ચર્સ પ્રા. લિ., ફિલ્મના નિર્માતા, સારેગામા ઈન્ડિયા લિ. અને રેપર કમ્પોઝર આદિત્ય પ્રતીક સિંહ (બાદશાહ)ને પ્રતિવાદી બનાવ્યા છે.
ન્યા. શર્મિલા દેશમુખની બેન્ચ સમક્ષ આ મેટર લિસ્ટ થઈ હતી અને ધર્મા તથા સારેગામાએ જવાબ નોંધાવ્યાની કોર્ટને જાણ કરાઈ હતી. આગામી સુનાવણી ૨૨ ડિસેમ્બર પર રખાઈ છે ત્યારે તાકીદની વચગાળાની રાહત આપવી કે નહીં તેના પર સુનાવણી થશે.
કેસની વિગત અનુસાર ત્રિમૂર્તિ ફિલ્મ 'વિશ્વાત્મા' અને 'સાત સમુંદર પાર 'સહિતના તેના ગીતોની કોપીરાઈટના પ્રથમ માલિક છે.
૧૯૯૦માં સારેગામાના પુરોગામી ગ્રામાફોન કંપની ઓફ ઈન્ડિયા લિ.સાથે ના કરાર મૂળ ગીતને અલગ સિનેમેટોગ્રાફ ફિલ્મમાં સમાવીને નવી ઓળખ અથવા પાત્ર આપવાનો કોઈ અધિકાર આપવામાં આવ્યો નથી, ન તો મૂળ કૃતિમાં ફેરફાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો. આથી આવો કોઈ ફેરફાર સંમતિ વિના અનધિકૃત ફેરફાર અને વિકૃતિ સમાન છે, અમે ફરિયાદમાં જણાવ્યું છે. આથી આ ફિલ્મની રીલિઝ, નિદર્શન, તમામ કમ્યુનિકેશન સહિત તમામ બાબતોમાં આ ગીતના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવા ની માગણી કરવામાં આવી છે.


