પરિવારે શાળા મેનેજમેન્ટ અને શિક્ષકો પર બેદરકારીનો આરોપ લગાવ્યો
શાળાએ આવવામાં દસ મિનિટ મોડું થતાં સજા કરવામાં આવી
મુંબઈ - વસઈ-ઈસ્ટના સાતીવલીમાં આવેલી શ્રી હનુમંત વિદ્યા મંદિર શાળામાં, એક શિક્ષકે વિદ્યાર્થીઓને શાળાએ મોડા આવવા બદલ સો વાર ઉઠ-બેસ કરવાની સજા કરી હતી. આમાં ૧૩ વર્ષની વિદ્યાર્થિનીની તબિયત બગડી ગઈ હતી. શનિવારે રાત્રે તેનું મુંબઈની જે.જે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાની આઘાતજન્ય ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થીનું નામ કાજલ (અંશિકા) ગૌડ છે અને તે છઠ્ઠા ધોરણમાં ભણતી હતી. આ ઘટના બાદ લોકો દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
વસઈ-ઈસ્ટના સાતીવલીના કુવરા પાડા વિસ્તારમાં શ્રી હનુમંત વિદ્યા મંદિર શાળા આવેલી છે. તેમાં ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમાં, વિદ્યાર્થી કાજલ ગૌડ ધોરણ ૬ (એ) માં અભ્યાસ કરતી હતી.
૮ નવેમ્બરની સવારે, ઘણા વિદ્યાર્ર્થીઓ શાળામાં મોડા આવ્યા હતા. કાજલ પણ તેમાં સામેલ હતી. વિદ્યાર્થીઓ મોડા આવ્યા હોવાથી શિક્ષકે વિદ્યાર્થીઓને ૧૦૦ ઊઠ બેસ કરવાની સજા કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ તેમની બેગ ખભા પર લઈને ઉઠ બેસ કરી હતી. આમાંથી બાકીના લોકો ૧૦-૨૦ ઉઠ-બેસ કરીને અટકી ગયા હતા જ્યારે કાજલે ભયના માર્યા પૂરી ઉઠ-બેસ કરી હતી.
શાળાએથી ઘરે પરત ફર્યા બાદ છોકરીની તબિયત અચાનક અચાનક બગડી ગઈ, તેથી તેને તાત્કાલિક વસઈની આસ્થા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. એ બાદમાં, તેને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, તેની હાલત વધુ બગડતા, તેને સારવાર માટે મુંબઈની જે.જે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન શનિવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. તેના પરિવારે શાળા મેનેજમેન્ટ અને શિક્ષકો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે, જેના કારણે અમારી દીકરીનું મોત થયું છે. તેમણે આ ઘટનાની સંપૂર્ણ તપાસ અને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ ઘટના બાદ, વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળા નજીક મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
આ ઘટના બાદ, વાલીવ પોલીસે શાળા અને હોસ્પિટલમાં જઈને તપાસ શરૃ કરી છે. જે.જે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાની માહિતી મળ્યા બાદ, અમારો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.
શિક્ષણ વિભાગે ઘટનાની દખલ લીધી
સાતીવલીની હનુમંત વિદ્યામંદિર શાળામાં ધોરણ ૬ માં અભ્યાસ કરતી છોકરીના મૃત્યુની જાણ થઈ છે. ત્યાર બાદ શિક્ષણ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને માહિતી મેળવી છે. વસઈના જૂથ શિક્ષણ અધિકારી પાંડુરંગ ગલંગેએ કહ્યું છે કે, સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરવામાં આવશે અને રિપોર્ટ રજૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ હંમેશા વિદ્યાર્ર્થીઓની સલામતી અંગે તમામ શાળાઓને સૂચનાઓ આપે છે. તેમણે એમ પણ કહ્યું કે આરટીઈ ૨૦૦૯ શિક્ષણ કાયદામાં એવી જોગવાઈ છે કે વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે સજા કરવી એ ગુનો છે.


