લોકલ ટ્રેનમાં મહિલાનીમારપીટ પ્રકરણમાં તડજોડ બદલ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ
સમાધાન કરવા ૫૦૦૦ રૃપિયા લેવાનું ભારે પડયું
રેલવે પ્રશાસને કરેલી કડક કાર્યવાહી
મુંબઈ - લોકલ ટ્રેનમાં મહિલા પર હુમલાના કેસનું સમાધાન કરવા ૫,૦૦૦ રૃપિયા લઈને કરનાર વસઈ રેલવે પોલીસ કોન્સ્ટેબલને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
મંગળવાર, ૧૭ જૂનના રોજ, ચર્ચગેટ-વિરાર સ્પેશિયલ મહિલા લોકલ ટ્રેનમાં ૩૩ વર્ષના કવિતા મેંઢડકર નામની મહિલાને ૨૭ વર્ષની જ્યોતિ સિંહ નામની મહિલાએ માર માર્યો હતો. ટ્રેનમાં ચઢવા અંગે થયેલા ઝઘડાને કારણે આ ઘટના બની હતી. એ વખતે, જ્યોતિએ પોતાના મોબાઇલ ફોનથી કવિતાના માથા પર હુમલો કર્યો હતો. પરિણામે, કવિતાનું માથું ફાટી ગયું અને તે લોહીથી લથપથ થઈ ગઈ હતી. પરંતુ, હજુ સુધી વસઈ રેલવે પોલીસે કેસ નોંઘ્યો ન હતો. શુક્રવારે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. હુમલો કરાયેલી મહિલા કવિતા મેંઢડકરનો આરોપ હતો કે વસઈ રેલવે પોલીસે કેસમાં કેસ નોંઘ્યા વગર ૫,૦૦૦ રૃપિયા સ્વીકારીને સમાધાન કર્યું હતું.
મહિલા પ્રવાસી લોહી લોહાણ થઈ હોવા છતાં કેસ ન નોંધવા અને ૫,૦૦૦ રૃપિયાનું સમાધાન સ્વીકારવાનો આરોપ વસઈ રેલવે પોલીસ સામે કરવામાં આવ્યો હતો. મનસેએ આ મામલે વસઈ રેલવે પોલીસ પાસે પણ જવાબ માંગ્યો હતો. આખરે, શનિવારે, પોલીસે બન્ને મહિલાઓને બોલાવી અને તેમના નિવેદનો નોંઘ્યા હતા. કવિતાની ફરિયાદ મળ્યા બાદ તેના પર હુમલો કરનારી મહિલા જ્યોતિ સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
રેલવે કમિશનરેટ દ્વારા સ્વતંત્ર તપાસ
રેલવે પોલીસ કમિશનર રાકેશ કલાસાગરે આ બાબતની ગંભીર નોંધ લીધી હતી અને તપાસનો આદેશ આપ્યો હતો. કેસ કેમ દાખલ ન થયો? ઉપરાંત, આ તપાસ દરમિયાન રેલવે પોલીસ પાસેથી સમાધાનના આરોપો અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી. પીડિતા અને આરોપી મહિલાઓના નિવેદનો રેલવે પોલીસ હેડક્વાર્ટરમાં નોંધવામાં આવ્યા હતા. ત્યારે રેલવે પોલીસ કમિશનર રાકેશ કલાસાગરે માહિતી આપી હતી કે, આ તપાસ દરમિયાન વસઈ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ એકનાથ માને દોષિત ઠર્યા હતા અને તેથી તેમને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.